News Continuous Bureau | Mumbai
Delhi Acid Attack દિલ્હીના ભારત નગર વિસ્તારમાં 26 ઓક્ટોબરની સવારે થયેલા કથિત એસિડ એટેક કેસમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘટના બનાવટી હતી. પીડિતાના પિતા અકીલએ લાંબા સમયથી ચાલી રહેલા વિવાદના કારણે એક વ્યક્તિને ફસાવવા માટે આ ષડયંત્ર રચ્યું હતું. પિતા અકીલે કબૂલ્યું છે કે તેણે આરોપી જીતેન્દ્રને ફસાવવા માટે પુત્રી પર જાતે જ ટોયલેટ ક્લીનર નાખીને આખો એસિડ એટેકનો ડ્રામા કર્યો હતો. તપાસ દરમિયાન પીડિતાના નિવેદનો અને સ્થળ પરના તથ્યો વચ્ચે મેળ ન ખાતા પોલીસને શંકા ગઈ હતી. આ કેસમાં પિતા અકીલની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ ચાલુ છે.
‘એસિડ’ નહીં પણ ‘ટોયલેટ ક્લીનર’ હતું!
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, દરોડા અને પૂછપરછમાં સામે આવ્યું કે પીડિતા પર જે પ્રવાહી ફેંકાયું હતું, તે એસિડ નહીં પરંતુ સામાન્ય ટોયલેટ ક્લીનર હતું. પોલીસ દ્વારા જીતેન્દ્રને ફસાવવાના આરોપના આધારે પિતા અકીલની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં તેણે ખુલાસો કર્યો કે તેણે એસિડ એટેકની વાર્તા બનાવી હતી અને હુમલામાં વપરાયેલું પ્રવાહી ટોયલેટ ક્લીનર જ હતું. વધુમાં, પીડિતાએ ઈ-રિક્ષામાંથી ઉતર્યા બાદ કથિત રીતે પોતાના હાથ પર આ ટોયલેટ ક્લીનર જાતે જ નાખ્યું હતું અને જોરથી બૂમો પાડવા લાગી હતી. પોલીસને એ પણ જાણવા મળ્યું કે આ પ્રવાહી વિદ્યાર્થીની તેના બેગમાં ઘરેથી જ લઈને આવી હતી.
ઘટનાસ્થળથી 5 કિમી દૂર હતો મુખ્ય આરોપી
પોલીસની તપાસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો, જ્યારે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઘટના સમયે મુખ્ય આરોપી ગણાવાતા જીતેન્દ્ર નું લોકેશન કરોલ બાગમાં હતું, જે ઘટના સ્થળથી લગભગ 5 કિલોમીટર દૂર છે. આ ઉપરાંત, ઘટનાસ્થળે તપાસ કરવા આવેલી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમને પણ તેજાબના કોઈ નિશાન કે ફેંકાયેલી કોઈ બોટલ મળી નહોતી. CCTV ફૂટેજમાં પણ હુમલાખોરોની કોઈ ઝલક ન મળી, જેનાથી સ્પષ્ટ થયું કે હુમલાની વાત ખોટી હતી અને સમગ્ર ઘટના એક પૂર્વ આયોજિત કાવતરું હતું.
આ સમાચાર પણ વાંચો : Maharashtra ATS: મહારાષ્ટ્ર ATSની મોટી કાર્યવાહી: પૂણેથી શંકાસ્પદ આતંકવાદી ની ધરપકડ; કટ્ટરપંથી સંગઠનો સાથે સંબંધોની આશંકા
લાંબા સમયથી ચાલી રહેલા વિવાદની ક્રોનોલોજી
પોલીસે જણાવ્યું કે, આરોપી પિતા અકીલે માત્ર જીતેન્દ્રને જ નહીં, પણ અન્ય બે વ્યક્તિઓ ઈશાન અને અરમાનને પણ ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમની સાથે તેનો લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. પોલીસના મતે, આ બંને પરિવારો વચ્ચે બાહ્ય દિલ્હીના મંગોલપુરીમાં એક પ્રોપર્ટીને લઈને લાંબા સમયથી ઝઘડો ચાલી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, 2018માં ઈશાનની માતા શબનમે પણ અકીલ વિરુદ્ધ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો, જે કેસ હજી પણ કોર્ટમાં ચાલી રહ્યો છે. તે જ વર્ષે શબનમે અકીલ પર તેજાબથી હુમલો કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ જુના વિવાદનો બદલો લેવા અને પ્રોપર્ટી વિવાદમાં ફાયદો મેળવવા માટે અકીલે આ નકલી એસિડ એટેકનું ષડયંત્ર રચ્યું હતું.