-D.K.
INDIA SUGAR PRODUCTION:વિશ્વના બુધ્ધિજીવીઓ રિસર્ચ અને અનુમાનોનાં આંકડા આપીને પોતાના જ્ઞાનના આધારે વેપારીઓ અને રોકાણકારોને કારોબારની દિશા દેખાડે. પરંતુ કુદરત એવો કરિશ્મા દેખાડે કે બુધ્ધિજીવીઓના જ્ઞાનના ઘડા અધુરા સાબિત થાય. હાલમાં ખાંડનાં કારોબારની આવી સ્થિતી છે. ભારતમાં સિઝન શરૂ થઇ ત્યારે એટલે કે ઓક્ટોબર ૨૦૨૫ માં ઉત્પાદનનાં અંદાજ મુકતી સંસ્થાઓએ ભારતમાં ૩૧૦ લાખ ટન ખાંડના ઉત્પાદનના અનુમાનો આપ્યા હતા. પરંતુ કુદરતને આ અંદાજ મંજૂર નહોતો. બદલાયેલા હવામાન અને શેરડીના ઉતારા ઘટવાના કારણે બીજા અંદાજમાં ૨૯૩ લાખ ટન ઉત્યાદનનું અનુમાન આવ્યું. અને હવે જ્યારે સિઝન પુરી થવામાં છે ત્યારે એટલે કે ૧૫ મી એપ્રિલ સુધીમાં દેશમાં સાકરનું ઉત્પાદન ૨૭૩.૯૦ લાખ ટન થયું છે. આ ઉત્પાદન ભારતના ગત વર્ષના ઉત્પાદન કરતા નવ ટકા વધારે છે. પરંતુ સ્થાનિક વાર્ષિક ખપત કરતા ઓછું છે.
હવે ઉત્પાદન ઘટવાના કારણોની સમિક્ષા થઇ રહી છે. નેશનલ ફેડરેશન ઓફ કો.ઓ. સુગર ફેક્ટરીઝ લી(એન.એફ.સી. એસ.એફ) નાં અહેવાલ પ્રમાણે મહારાષ્ટ્રમાં શેરડીની ઇલ્ડ ધારણા કરતા ઘણી ઓછી આવી હોવાથી મિલોને ઉત્પાદન(SUGAR SUPPLY SHORTAGE) વહેલું બંધ કરવાની ફરજ પડી છે. ચોમાસામાં થયેલા અનરાધાર વરસાદના કારણે શેરડીનું(Sugarcane) ઉત્પાદન ઘટડ્યું હોવાનું નિષ્ણાંતો જણાવે છે. જેના પરિણામે કુલ ૫૪૧ મિલો માંથી ૪૬૭ મિલોને તો માર્ચ મહિનાનાં તે જ સાકરનું ઉત્પાદન બંધ કરી દેવું પડ્યું હતું. ખાસ કરીને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શેરડીનું અંદાજ કરતા ઉત્પાદન ઘટ્યું હોવાના કારણે અહીં મિલો વહેલી બંધ કરવી પડી છે. ભારતની સાકરની વાર્ષિક ખપત ૨૮૦ થી ૨૮૫ લાખ ટનની છે. એ જોતા આ વખતે કુલ ઉત્પાદન ૨૮૦ લાખ ટને પહોંચે તો પણ સતત બીજા વર્ષે ભારતમાં ઉત્પાદન કરતા વપરાશ વધારે રહેવાને કારણે ખાંડની(Sugar) ખેંચ રહી શકે છે. આ એજ સિઝનની વાત છે જેના પ્રારંભે વિપુલ પુરવઠાને કારણે નિકાસની પરવાનગી આપવાની માગ થયા બાદ સરકારે ૨૦ લાખ ટન સાકરની નિકાસની છુટ આપી છે.
જો કે હાલમાં હાજર બજારમાં એસ-૩૦ ખાંડનાં(Sugar) ક્વિન્ટલ દિઠ ભાવ ૩૭૦૦ રુપિયાથી માંડીને ૩૭૪૦ રુપિયા સુધીના ચાલે છે. પરંતુ સિઝન પુરી થયા બાદ સ્ટોક અને નિકાસના આંકડા ઉપર બજારનો ઘણો આધાર રહેશે. ભારતનું ઉત્પાદન સિઝનની શરૂઆતની ધારણા કરતા આશરે ૩૦ લાખ ટન ઘટે તો વૈશ્વિક ઉત્પાદન અને સ્ટોક ને પણ વિપરીત અસર પડી શકે છે.
સિઝનનાં પ્રારંભે ૨૦૨૫-૨૬ માં વૈશ્વિક ખાંડનું ઉત્પાદન વાર્ષિક ધોરણે ૮૩ લાખ ટન વધીને ૧૮૯.૩૦ લાખ ટન થવાનો અંદાજ છે, જેમાં બ્રાઝિલ અને ભારતમાં વધુ ઉત્પાદન યુરોપિયન યુનિયનના નીચા ઉત્પાદનને સરભર કરે તેવી આશા હતી. બ્રાઝિલ, ભારત અને થાઇલેન્ડમાંથી વધેલા શિપમેન્ટ યુરોપિયન યુનિયનમાંથી ઘટેલી નિકાસને પણ સરભર કરે તેવી અપેક્ષા હતી. પરંતુ હવે ભારતનું ઉત્પાદન ૩૦ થી ૩૫ લાખ ટન ઘટે તો વૈશ્વિક ઉત્પાદનમાં માત્ર ૫૦ લાખ ટનનો જ વધારો થાય. તેથી વૈશ્વિક બજારમાં તેજીનો ચમકારો જોવા મળી શકે છે.
ધ ઇન્ડિયન શુગર એન્ડ બાયો એનર્જી મેન્યુફેક્ચર્સ એશોસિએશન (ISMA) એ સિઝનનાં પ્રારંભે પ્રાથમિક સેટેલાઇટ તસ્વીરોના આધારે ભારતમાં સાકરનું કુલ ઉત્પાદન ૩૪૩.૫૦ લાખ ટન થવાની ધારણા મુકી હતી. જેમાંથી ૩૩ લાખ ટનનો ઇથેનોલ બનાવવામાં વપરાશ થવાનું અનુમાન હતું. હાલની યુધ્ધની પરિસ્થતીમાં સરકાર બળતણમાં ૨૦ ટકાના સ્થાને હવે ૨૧ થી ૨૫ ટકા ઇથેનોલ વાપવાનું લક્ષ્યાંક મુકી રહી છે. પરંતુ જો ભારતમાં ઉત્પાદનમાં ૩૦ લાખ ટનનો ઘટાડો થાય તો સરકારના આ મિશનને પણ અસર થઇ શકે છે.
ભારતમાં ઓક્ટોબર ૨૦૨૫ ની સિઝન ૫૦ લાખ ટનના સ્ટોક સાથે શરૂ થઇ હતી. જ્યારે ઓક્ટોબર ૨૦૨૬ ની સિઝન ૪૦ લાખ ટનનાં સ્ટોક સાથે શરૂ થવાની ધારણા નિષ્ણાંતો અત્યારથી મુકી રહ્યા છે.
