News Continuous Bureau | Mumbai
Fuel Crisis 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતની ઊર્જા સુરક્ષા સામે ઉભા થયેલા પડકારને પહોંચી વળવા કેન્દ્ર સરકારે અનેક મહત્વના અને મોટા નિર્ણયો લીધા છે. ઈરાન જંગને કારણે હોર્મુઝની સામુદ્રધુની લગભગ બંધ થઈ ગઈ છે, જ્યાંથી ભારતનો મોટાભાગનો કાચો તેલ અને ગેસનો જથ્થો આવે છે. આ કટોકટીમાં સામાન્ય જનતાને રસોઈના ઈંધણની અછત ન પડે તે માટે સરકારે વર્ષો જૂના કેરોસીનના વપરાશને કામચલાઉ ધોરણે ફરી શરૂ કર્યો છે.સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ, દેશમાં એલપીજી (LPG) બુકિંગમાં જે ઉછાળો જોવા મળ્યો છે તેનું મુખ્ય કારણ અછત નહીં પરંતુ લોકોમાં ફેલાયેલી ગભરાટછે. હોર્ડિંગ અને ગેરકાયદે વેચાણ અટકાવવા માટે હવે શહેરી વિસ્તારોમાં 25 દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસ પછી જ બીજું સિલિન્ડર બુક કરી શકાશે તેવા કડક નિયમો લાદવામાં આવ્યા છે.
રસોઈ માટે કેરોસીન અને હોટલો માટે વૈકલ્પિક ઈંધણ
ભારતે છેલ્લા એક દાયકાથી પ્રદૂષણ ઘટાડવા માટે કેરોસીનનો વપરાશ બંધ કરવાની ઝુંબેશ ચલાવી હતી અને દિલ્હી જેવા શહેરો 2014માં કેરોસીન-મુક્ત બન્યા હતા. પરંતુ હાલની સ્થિતિને જોતા, રાજ્યોના નિયમિત ક્વોટા ઉપરાંત વધારાનું 48,000 કિલોલીટર કેરોસીન ફાળવવામાં આવ્યું છે. આ ઉપરાંત, હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં કોમર્શિયલ ગેસના બદલે બાયોમાસ અને કોલસાના ઉપયોગને એક મહિના માટે ખાસ પરવાનગી આપવામાં આવી છે જેથી કરીને રસોઈ ગેસનો પુરવઠો ઘરો અને હોસ્પિટલો માટે અનામત રાખી શકાય.
આ સમાચાર પણ વાંચો : Iran’s BRICS Condition: પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા વચ્ચે ઈરાને ભારત સામે કઈ શરત મૂકી? જાણો પીએમ મોદી અને વિદેશ મંત્રાલય માટે કેમ વધી ચિંતા
કાચા તેલ માટે 27 ને બદલે હવે 40 દેશો પર નિર્ભરતા
સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલ કે ડીઝલની કોઈ અછત નથી. ભારતની રિફાઇનરીઓ 100 ટકાથી વધુ ક્ષમતા સાથે કામ કરી રહી છે. અત્યાર સુધી ભારત તેના કાચા તેલ માટે મુખ્યત્વે 27 દેશો પર નિર્ભર હતું, પરંતુ હવે સપ્લાય ચેઈન જાળવી રાખવા માટે 40 દેશો પાસેથી તેલ ખરીદવાનું શરૂ કર્યું છે. આ રણનીતિને કારણે ખાડી દેશોમાં ચાલી રહેલા તણાવ છતાં ભારતમાં ઇંધણનો સ્ટોક જળવાઈ રહ્યો છે.
રશિયા, અમેરિકા અને કેનેડાથી મંગાવાશે એલપીજી
સંકટ પહેલા ભારત તેના એલપીજી આયાતનો 60 ટકા હિસ્સો કતાર, સાઉદી અરેબિયા અને કુવૈત જેવા દેશો પાસેથી મેળવતું હતું. હવે આ પુરવઠો ખોરવાતા સરકારે અમેરિકા, નોર્વે, કેનેડા, અલ્જેરિયા અને રશિયા જેવા દેશો પાસેથી ગેસ મંગાવવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે એલપીજી ઉત્પાદનમાં 28 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સરકાર સતત વૈકલ્પિક આયાત માર્ગો પર નજર રાખી રહી છે જેથી ઈંધણના ભાવ નિયંત્રણમાં રહે અને સપ્લાય યથાવત રહે.