News Continuous Bureau | Mumbai
Ravi Shankar Prasad Residence Fire દેશની રાજધાની દિલ્હીમાં લ્યુટિયન્સ ઝોન સ્થિત ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદના સરકારી બંગલામાં આગ લાગવાની ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી. દિલ્હી ફાયર સર્વિસને આજે સવારે અંદાજે 8:05 વાગ્યે બંગલામાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. દમકલ વિભાગના જવાનોએ સમયસર પહોંચીને આગને વધુ ફેલાતી અટકાવી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
કેવી રીતે બની આ ઘટના?
પ્રાપ્ત માહિતી અનુસાર, 21 મધર ટેરેસા ક્રેસન્ટ રોડ પર સ્થિત રવિશંકર પ્રસાદની કોઠીના એક રૂમમાં આગ લાગી હતી. શરૂઆતમાં કોલ મળ્યો હતો કે આગ બેડ (પલંગ) માં લાગી છે, જે ધીમે ધીમે આખા રૂમમાં ફેલાવા લાગી હતી. શરૂઆતમાં બંગલા નંબર બાબતે થોડી ગૂંચવણ થઈ હતી, પરંતુ તપાસમાં સ્પષ્ટ થયું હતું કે આગ બંગલા નંબર 21 માં જ લાગી હતી. સદનસીબે જ્યારે આ ઘટના બની ત્યારે સમયસર પગલાં લેવાતા કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી.
આગ લાગવાનું કારણ શું?
દમકલ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ બેડરૂમના પલંગમાં લાગી હતી, જે શોર્ટ સર્કિટના (Short Circuit) કારણે હોઈ શકે તેવી આશંકા છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આગના કારણે રૂમમાં રહેલા ફર્નિચર અને અન્ય સામાનને નુકસાન થયું હોવાના અહેવાલ છે. ફાયર વિભાગના જવાનોએ સમયસૂચકતા વાપરીને આગને બાજુના રૂમોમાં ફેલાતી અટકાવી હતી.
આ સમાચાર પણ વાંચો : Reza Pahlavi: નિર્વાસિત પ્રિન્સ રઝા પહલવીની ઈરાની સેનાને ભાવુક અપીલ; ઈસ્લામિક શાસનને તિલાંજલિ આપી લોકશાહી સ્થાપવા કરી હાકલ
વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
આ ઘટના બાદ વિસ્તારમાં પોલીસનો કાફલો પણ પહોંચી ગયો હતો. આ વિસ્તાર અત્યંત સુરક્ષિત અને સંવેદનશીલ માનવામાં આવે છે, કારણ કે અહીં અનેક મોટા નેતાઓ અને મંત્રીઓના નિવાસસ્થાન આવેલા છે. રવિશંકર પ્રસાદના સ્ટાફ અને પરિવારના સભ્યો હાલ સુરક્ષિત હોવાનું જણાવાયું છે. આગ બુઝાયા બાદ પણ સાવચેતીના ભાગરૂપે થોડો સમય ફાયર બ્રિગેડની ગાડીઓ ત્યાં તૈનાત રાખવામાં આવી હતી.