News Continuous Bureau | Mumbai
હરિયાણા સરકારના વિવિધ વિભાગોના IDFC ફર્સ્ટ બેંકમાં જમા નાણાંમાં થયેલી ₹590 કરોડની છેતરપિંડીના મામલે હરિયાણા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ મોટી સફળતા મેળવી છે. આ કૌભાંડના માસ્ટરમાઇન્ડ અને AU સ્મોલ બેંકની ઝીરકપુર શાખાના મેનેજર રિભવ ઋષિ સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે સરકારી નાણાં સીધા વાપરવાને બદલે તેને ૨૦૦૦ જેટલા અલગ-અલગ ખાતાઓમાં ફેરવીને સિસ્ટમને છેતરવાનો પ્રયાસ કરાયો હતો. વિજિલન્સ તપાસમાં અત્યાર સુધીમાં ₹152 કરોડની શંકાસ્પદ રકમ મળી આવી છે, જેના પર હોલ્ડ લગાવી દેવામાં આવ્યો છે. આ રકમ સાથે જોડાયેલા બેંક ખાતાઓ પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, બેંગલુરુ અને ગુજરાતના છે. તપાસ એજન્સીઓ હવે એ શોધી રહી છે કે આ નાણાં કયા માધ્યમથી આ ખાતાઓમાં પહોંચ્યા અને તેનો ઉપયોગ ક્યાં થયો.
લાયરિંગ દ્વારા નાણાંની હેરાફેરી અને સોનાની ખરીદી
સાયબર નિષ્ણાતોના મતે, છેતરપિંડીની રકમને ટ્રેક ન કરી શકાય તે માટે ‘લાયરિંગ’ (Layering) પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રકમને અનેક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા બાદ કાં તો રોકડ ઉપાડી લેવામાં આવી હતી અથવા સોના-ચાંદીની ખરીદી કરીને વ્યવહારને કાયદેસર બતાવવાનો પ્રયાસ થયો હતો. ચંદીગઢના 60 જેટલા જ્વેલર્સ સહિત કુલ 100થી વધુ સર્રાફા વેપારીઓના ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Uranium for India: ભારતના પરમાણુ મથકો માટે ‘ગોલ્ડન ન્યૂઝ’: કઝાકિસ્તાનથી આવશે યુરેનિયમનો કાફલો; ઈંધણની અછત હવે ક્યારેય નહીં વર્તાય..
પત્ની અને સાળાના નામે બોગસ કંપનીઓ
તપાસમાં ખુલાસો થયો છે કે મુખ્ય આરોપી રિભવ ઋષિના કહેવા પર તેના સાથી અભય કુમારે પોતાની પત્ની સ્વાતિ સિંગલા અને સાળા અભિષેક સિંગલાના નામે ‘સ્વાસ્તિક દેશ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ’, ‘કેપકો’ અને ‘સ્વદેશ’ જેવી બોગસ કંપનીઓ બનાવી હતી. માત્ર ‘સ્વાસ્તિક દેશ ઈન્ડિયા’ ફર્મ દ્વારા જ ₹300 કરોડના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે. સરકારી નાણાંને આ કંપનીઓના ખાતામાં ‘ડિપાર્ટમેન્ટલ પેમેન્ટ’ તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
સરકારી અધિકારીઓ પણ તપાસના રડારમાં
એન્ટી કરપ્શન બ્યુરોના પ્રમુખ અર્શવિંદર ચાવલાએ જણાવ્યું કે, માત્ર હરિયાણા જ નહીં પરંતુ ચંદીગઢ પ્રશાસનના કેટલાક વિભાગો સાથે પણ છેતરપિંડી થઈ છે. આ કૌભાંડમાં સરકારી કર્મચારીઓ કે અધિકારીઓની ભૂમિકા હોવાની પ્રબળ શંકા છે. હાલ ખાનગી આરોપીઓની ધરપકડ બાદ હવે તપાસનો દોર સરકારી વિભાગો તરફ લંબાવવામાં આવ્યો છે. આરોપીઓએ છેતરપિંડી બાદ 100થી વધુ બેંક ખાતાઓ બંધ પણ કરી દીધા હતા જેથી પુરાવા નાશ પામે.
