ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
ભારતમાં બાળકોનું રસીકરણ સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે. એઇમ્સના વડા ડૉ. રણદીપ ગુલેરિયાએ આ સંદર્ભે સંકેતો આપ્યા છે. ગુલેરિયાએ એક મીડિયા હાઉસને કહ્યું છે કે “નાનાં બાળકો માટે રસીકરણ અભિયાન એ કોરોનાની ચેઇન તોડવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું હોય શકે છે.” ગુલેરિયાએ કહ્યું, "જ્યાં સુધી હું જાણું છું, ઝાયડલ કેડિલાએ બાળકો પર રસીનું પરીક્ષણ કર્યું છે અને હાલમાં એ ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરીની રાહ જોઈ રહ્યા છે.”
નાનાં બાળકો પર ભારત બાયોટેકની કોવેક્સિનનું પણ ટ્રાયલ ઑગસ્ટ અથવા સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થઈ શકે છે. બીજી બાજુ, ફાઇઝરની રસીને USના નિયમો હેઠળ કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. એથી, અમને અપેક્ષા છે કે બાળકો માટે રસીકરણ અભિયાન સપ્ટેમ્બર સુધીમાં શરૂ થઈ શકે. હાલમાં દરરોજ 40થી 50 લાખ કોરોના રસી આપવામાં આવે છે. 2021ના અંત સુધીમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને કોરોના રસી આપવાનું સરકારનું લક્ષ્ય છે.
ઉલ્લેખનીય છે કે એઇમ્સના વડાએ ઉમેર્યું હતું કે અમને બાળકોના રસીકરણ માટે દેશી રસીની જરૂર છે. ભારત બાયોટેક અને ઝાયડલ કેડિલાની રસી ખૂબ જ મહત્વપૂર્ણ છે. નાનાં બાળકોને રસી આપવા માટે ફાઇઝર રસી પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, પરંતુ દેશની વસ્તી વધુ હોવાથી આપણે દેશી રસીઓ આપવાની જરૂર છે.