News Continuous Bureau | Mumbai
D.K.
Indian cotton market: બોર્ડની પરિક્ષાઓમાં વિદ્યાર્થીનું ગણિતનું પેપર નબળું જાય પરંતુ જો વિજ્ઞાનનું પેપર સારૂં જાય તો તેની ટકાવારી સુધરી જાય. હાલમાં કપાસનું જીનીંગ કરી રહેલા જિનરોની કદાચ આવી જ સ્થિતી છે. એમને રૂ ના વેચાણથી જ્યારે નફો નથી મળતો ત્યારે કપાસયાનાં ખોળનાં સતત વધતા ભાવના કારણે કપાસિયા ઉંચા ભાવે વેચાતા હોવાથી પડતર થઇ જાય છે. અને ખર્ચ નીકળી જાય છે. એનસીડેક્સના કપાસિયા ખોળનાં વાયદાનાં ભાવનો ગ્રાફ આ તર્કને સાચો પુરવાર કરે છે. જાન્યુઆરી ૨૦૨૬ નાં પ્રથમ સપ્તાહમાં કપાસિયા ખોળનાં ક્વિન્ટલ દિઠ ભાવ ૩૧૫૦ રૂપિયાની સપાટીએ હતા જે ૧૯મી માર્ચ ૨૦૨૬ ના રોજ ૩૫૫૦ રૂપિયાની સપાટી દેખાડતા હતા. અઢી મહિનાનાં સમયગાળામાં ખોળના ભાવમાં ૫૦૦ રૂપિયાનો વધારો વેપારીઓને ગોળ જેવો મીઠો લાગે તે સ્વાભાવિક છે. સામે પક્ષે ઐનસીડેક્સ ખાતે શંકર કપાસનાં ૨૦ કિલો દિઠ ભાવ નવ મી ફેબ્રુઆરીએ ૧૫૦૦ રૂપિયા હતા જે ૧૯ મી માર્ચે વધીને ૧૫૬૮ રૂપિયા નોંધાયા હતા.
અખાતી યુધ્ધમાં મોટા ભાગની કોમોડિટીનાં આયાત અને નિકાસના કારોબાર અટવાયા છે પરંતુ કપાસમાં હાલમાં જ બાંગ્લાદેશ અને વિયેટનામે ભારત પાસેથી ગાંસડીની ખરીદી શરૂ કરી હોવાના અહેવાલ છે. યુઐસડીએ નો અહેવાલ જણાવે છે કે ૨૦૨૫ માં ભારતે તૈયાર કપડાં અને ઘરવપરાશની કાપડની વસ્તુઓની અમેરિકામાં થતી નિકાસમાં ચીનને પણ પાછળ રાખીને ટોચનું સ્થાન મેળવી લીધું છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Weather Alert:મહારાષ્ટ્ર પર ફરી આકાશી આફત! આગામી ૪૮ કલાક ભારે; ૫ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની યલો એલર્ટ.
કોટન એશોસિએશન ઓફ ઇન્ડિયાએ ફેબ્રુઆરી-૨૦૨૬ નાં અંતે રજૂ કરેલા ઉત્પાદનનાં અંદાજમાં અગાઉની ૩૧૭ લાખ ગાંસડી ઉત્પાદનની ધારણા સામે હવે ૩૨૦.૫૦ લાખ ગાંસડી રૂ થવાની ધારણા મુકી છે. સામાપક્ષે કુલ સ્થાનિક માંગ અગાઉની ૩૦૫ લાખ ગાંસડીની તુલનાએ હવે ૩૧૫ લાખ ગાંસડી રહેવાની ધારણા મુકવામાં આવી છે. અત્યાર સુધીમાં ૨૬૪ લાખ ગાંસડી રૂ ની આવકો થઇ ચુકી છે. જેમાંથી સરકારી એજન્સી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ (સી.સી.આઇ) ૧૦૪ લાખ ગાંસડી ની ખરીદી કરી છે. ગત વર્ષે આ સમય ગાળામાં ૧૦૦ લાખ ગાંસડીની ખરીદી થઇ હતી. આ અગાઉ સિઝનનાં અંતે ૧૦૮ લાખ ગાંસડી રૂ નો સ્ટોક રહેવાનો અંદાજ હતો જે હવે ઘટાડીને ૯૮ લાખ ગાંસડી કરવામાં આવ્યો છે. ખેડૂતો પાસેથી કપાસની ખરીદી કરીને ટેકાના ભાવે નાણા ચુકવવા માટે સરકારે હાલમાં જ સી.સી.આઇને ૧૭૧૮ કરોડ રૂપિયા ફાળવ્યા હોવાના અહેવાલ છે. કપાસનો કારોબાર દેશમાં આશરે પાંચ કરોડ લોકોને રોજગાર આપે છે તેથી જ્યારે કપાસનાં ભાવ ટેકાના ભાવથી નીચા આવે ત્યારે તુરત જ ખરીદી શરૂ કરવાની સુચના સી.સી.આઇ ને આપવામાં આવી હોવાનું ચર્ચાય છે. આ ઉપરાંત કપાસનાં ભાવમાં આવેલો ઉછાળો આગામી દિવસોમાં સારા માલની ખેંચ રહેવાની માનસિકતાને પણ હોવાનું માનવામાં આવે છે. જો સરકારનો ટેકો રહે તો મોડે સુધી જીનીંગ ચાલુ રહેશે એવું વ્યવસાયિક વર્તુળોનું માનવું છે. જો કે સવૈશ્વિક બજારની માગ ઉપર પણ મોટો મદાર રહેશે. ગત સિઝનમાં દેશમાં ૪૧ લાખ ગાંસડી રૂ ની આયાત થઇ હતી જે આ વખતે ૫૦ લાખે પહોંચવાની ધારણા છે.
કપાસિયા ખોળમાં સતત જોવા મળેલી તેજી સ્ટોકિસ્ટોની સતત ખરીદીના કારણે હોવાનું વેપારીઓ જણાવે છે. એનસીડેક્સના ગોદામોમાં આ વખતે ખોળની સારી ગુણવત્તા હોવાથી વેપારીઓ ડીલીવરી લઇને હાજર બજારમાં વેચી રહ્યા હોવાના અહેવાલ છે. એક્સચેન્જના વાયદામાં કપાસિયા ખોળનાં ભાવમાં એક સપ્તાહમાં જ ક્વિન્ટલ દિઠ ૧૦૦ રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે. હાલમાં કપાસિયા ખોળના વાયદામાં ૭૦૦૦૦ ટનનાં ઓપન ઇન્ટરેસ્ટ છે જ્યારે સરેરાશ દૈનિક ૫૦ કરોડ રૂપિયાનાં વેપાર થાય છે. એપ્રિલ ૨૦૨૬ નો શંકર કપાસનો વાયદો અંતિમ દિવસોમાં તેજી દેખાડી રહ્યો છે. સાથે જ એપ્રિલ-૨૦૨૭ ના વાયદામાં ૧૬૨૬ રૂપિયાનાં ભાવ ખુલ્યા છે.