News Continuous Bureau | Mumbai
મધ્ય પ્રદેશના ઇન્દોરમાં આજે વહેલી સવારે એક ગંભીર અગ્નિકાંડમાં ૭ લોકોના દર્દનાક મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ, ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગમાં મુકવામાં આવી હતી ત્યારે થયેલા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જોતજોતામાં આગે ત્રણ માળના મકાનને પોતાની લપેટમાં લઈ લીધું હતું. દુર્ઘટના સમયે મકાનમાં ૧૦ થી વધુ લોકો હાજર હતા, જેમાંથી ફાયર બ્રિગેડ અને પોલીસે ૩ લોકોનો આબાદ બચાવ કર્યો છે.
ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ બની કાળમુખી
ઇન્દોર કલેક્ટર ના જણાવ્યા અનુસાર, મકાનની બહાર ઇલેક્ટ્રિક ગાડી ચાર્જિંગ પર મુકવામાં આવી હતી. ચાર્જિંગ દરમિયાન અચાનક શોર્ટ સર્કિટ થયું અને આગની જ્વાળાઓ મકાન તરફ ફેલાઈ ગઈ. જોતજોતામાં આખું મકાન આગની લપેટમાં આવી ગયું હતું. લોકો કઈ સમજે તે પહેલા જ ધુમાડો અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે અંદર ફસાયેલા લોકોને બહાર નીકળવાની તક સુદ્ધાં ન મળી.
આ સમાચાર પણ વાંચો : US-Iran War Update: અમેરિકાએ ઈરાન પર કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો, ‘બંકર બસ્ટર’ બોમ્બથી દુશ્મનના ઠેકાણા તબાહ; જાણો હોર્મુઝમાં શું છે સ્થિતિ
પ્રત્યક્ષદર્શીઓએ વર્ણવી આપવીતી
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, મકાનમાંથી બચાવો-બચાવોની ચીસો સંભળાઈ રહી હતી, પરંતુ આગ એટલી ભયાનક હતી કે કોઈ અંદર જવાની હિંમત કરી શકતું નહોતું. પોલીસ અને ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ૮ થી ૧૦ ટીમોએ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ૭ નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા.
તપાસના આદેશ અને સુરક્ષા પર સવાલો
ઇન્દોરના પોલીસ કમિશનર એ પુષ્ટિ કરી છે કે ૭ લોકોના મોત થયા છે અને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે જેથી આગ લાગવાનું સચોટ કારણ જાણી શકાય. આ દુર્ઘટનાએ ફરી એકવાર ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ દરમિયાન રાખવાની સાવચેતી અને રહેણાંક વિસ્તારોમાં ફાયર સેફ્ટીના નિયમો પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.