ધનતેરસ પર 75 હજાર યુવાનોને મળ્યા જોબ લેટર, રોજગાર પર શું બોલ્યા PM મોદી

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'રોજગાર મેળા'ની શરૂઆત કરી હતી. આ અંતર્ગત પ્રથમ તબક્કામાં પસંદ કરાયેલા 75,226 યુવાનોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. આ ભરતી ઝુંબેશમાં કુલ 10 લાખ યુવાનોને સરકારી નોકરી આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ ભારતની યુવા શક્તિ માટે મહત્ત્વપૂર્ણ દિવસ છે. છેલ્લા 8 વર્ષથી દેશમાં રોજગાર અને સ્વરોજગારનું અભિયાન ચાલી રહ્યું છે, આજે તેની સાથે વધુ એક કડી જોડાઈ રહી છે, આ કડી રોજગાર મેળાની છે. આજે કેન્દ્ર સરકાર 75000 યુવાનોને નિમણૂક પત્ર આપી રહી છે.

આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું, 'આજે ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. 7-8 વર્ષમાં આપણે 10માથી 5મા નંબર પર આવી ગયા છીએ. આ એટલા માટે શક્ય બની રહ્યું છે કારણ કે છેલ્લા 8 વર્ષમાં અમે દેશની અર્થવ્યવસ્થાની ખામીઓને દૂર કરી છે, જે અવરોધો ઊભી કરતી હતી.'

વડાપ્રધાને કહ્યું, 'વિકસિત ભારતના સંકલ્પની પરિપૂર્ણતા માટે, આપણે આત્મનિર્ભર ભારતના માર્ગ પર ચાલી રહ્યા છીએ. આજે જો કેન્દ્ર સરકારના વિભાગોમાં આટલી તત્પરતા આવી છે તો તેની પાછળ 7-8 વર્ષની સખત મહેનત છે, કર્મયોગીઓનો વિરાટ સંકલ્પ છે.' આગળ બોલતા નરેન્દ્ર મોદીએ કહ્યું, 'સ્ટાર્ટઅપ ઈન્ડિયા અભિયાને દેશના યુવાનોની ક્ષમતાને સમગ્ર વિશ્વમાં સ્થાપિત કરી છે. વર્ષ 2014 સુધી, જ્યાં દેશમાં માત્ર 100 સ્ટાર્ટઅપ હતા, આજે આ સંખ્યા વધીને 80,000થી વધુ થઈ ગઈ છે.'

મોદીએ કહ્યું, 'રોજગારની ઘણી નવી તકો ઊભી થઈ રહી છે. આજે વાહનોથી માંડીને મેટ્રો કોચ, ટ્રેનના કોચ, સંરક્ષણ સાધનો સહિત અનેક ક્ષેત્રોમાં નિકાસ ઝડપથી વધી રહી છે. આ ફક્ત એટલા માટે થઈ રહ્યું છે કારણ કે ભારતમાં ફેક્ટરીઓ વધી રહી છે અને સાથે જ કામ કરનારાઓની સંખ્યા પણ વધી રહી છે.'

પીએમ મોદીએ કહ્યું, 'ગામડાઓમાં મોટી સંખ્યામાં રોજગાર નિર્માણનું વધુ એક ઉદાહરણ… આપણી ખાદી અને ગ્રામોદ્યોગ છે. દેશમાં પહેલીવાર ખાદી અને ગ્રામોદ્યોગ એક લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. આ વર્ષોમાં ખાદી અને ગ્રામોદ્યોગમાં એક કરોડથી વધુ નોકરીઓનું સર્જન થયું છે. આમાં મોટી સંખ્યામાં આપણી બહેનોનો પણ હિસ્સો છે.' વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, “આજે અમારો સૌથી વધુ ભાર યુવાનોના કૌશલ્ય વિકાસ પર છે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ દેશના ઉદ્યોગોની જરૂરિયાતો અનુસાર યુવાનોને તાલીમ આપવા માટે એક વિશાળ અભિયાન ચાલી રહ્યું છે. આ અંતર્ગત અત્યાર સુધીમાં સ્કીલ ઈન્ડિયા અભિયાનની મદદથી 1.25 કરોડથી વધુ યુવાનોને તાલીમ આપવામાં આવી છે.'

પીએમે કહ્યું, 'છેલ્લા વર્ષોમાં 8 કરોડ મહિલાઓ સ્વ-સહાય જૂથો સાથે જોડાયેલી છે, જેમને ભારત સરકાર આર્થિક મદદ કરી રહી છે. આ કરોડો મહિલાઓ હવે દેશભરમાં તેમના ઉત્પાદનો વેચી રહી છે, તેમની આવક વધારી રહી છે.' વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “સ્થાનિક સ્તરે યુવાનો માટે રોજગારની લાખો તકો ઊભી કરવામાં આવી રહી છે. આધુનિક ઈન્ફ્રા માટે કરવામાં આવી રહેલા આ તમામ કાર્યો પ્રવાસન ક્ષેત્રને પણ નવી ઉર્જા આપી રહ્યા છે. દેશભરમાં આસ્થા, આધ્યાત્મિકતા, ઐતિહાસિક મહત્ત્વના સ્થળોનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ તમામ પ્રયાસો નોકરીઓનું સર્જન કરી રહ્યા છે.'

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More