News Continuous Bureau | Mumbai
Lok Sabha elections 2024 results LIVE: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવવા લાગ્યા છે. જોકે, ભારતીય જનતા પાર્ટી બહુમતી મેળવવાથી દૂર છે. તેમજ એનડીએની ગાડી પણ 300ની અંદર અટકતી જોવા મળી રહી છે. દરમિયાન એવા સમાચાર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલુગુ દેશમ પાર્ટી એટલે કે TDP ચીફ ચંદ્રબાબુ નાયડુનો સંપર્ક કર્યો છે. ખાસ વાત એ છે કે TDP પણ આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મોટી જીતના માર્ગે છે અને NDAનો ભાગ છે.
પીએમ મોદીએ પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુનો સંપર્ક કર્યો
મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર પીએમ મોદીએ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુનો સંપર્ક કર્યો છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઇ છે. લોકસભા ચૂંટણીના થોડા સમય પહેલા ચંદ્રબાબુ એનડીએમાં પરત ફર્યા હતા. બીજેપી આંધ્રપ્રદેશમાં પવન કલ્યાણની જનસેના અને ટીડીપી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે. એવા અહેવાલો છે કે ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ સિવાય પીએમ મોદીએ લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ અને જનતા દળ (યુનાઈટેડ) સાથે પણ વાત કરી છે.
તો બીજી તરફ શરદ પવારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે વાત કરી હોવાના અહેવાલ છે મીડિયા રિપોર્ટ અનુસાર, લોકસભા ચૂંટણીના પરિણામોના ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને શરદ પવારે નીતિશ કુમાર સાથે વાત કરી છે. જ્યારે તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિન ચંદ્રબાબુ નાયડુના સંપર્કમાં છે. બીજી તરફ જેડીયુ નેતા કેસી ત્યાગીએ કહ્યું છે કે નીતીશ કુમાર વડાપ્રધાનને મળવા પરત ફર્યા છે, અમે એનડીએમાં જ રહીશું. નીતિશ કુમાર અને જેડીયુએ પોતાને સાબિત કરી દીધા છે.
આ સમાચાર પણ વાંચો: Uttar Pradesh Lok Sabha Election Result 2024 Live : ભાજપના ગઢ ગણાતા રાજ્યમાં પાર્ટીને મોટો ઝટકો, કોંગ્રેસ-સમાજવાદી આપી રહી છે બરાબરની ટક્કર
તાજેતરની સ્થિતિ શું છે
ભારતીય ચૂંટણી પંચ એટલે કે ECIના તાજેતરના ડેટા અનુસાર, હાલમાં ભાજપ 240 બેઠકો પર આગળ છે અને 2 બેઠકો પર જીત મેળવી છે. તે જ સમયે, કોંગ્રેસ 99 બેઠકો પર આગળ છે. 543 બેઠકોની સંસદમાં બહુમતી મેળવવા માટે 272ના આંકડાને સ્પર્શ કરવો જરૂરી છે. શરૂઆતના વલણોમાં પાછળ રહ્યા બાદ વિપક્ષી ગઠબંધને વાપસી કરી છે.