News Continuous Bureau | Mumbai
LPG Crisis Solution: પશ્ચિમ એશિયામાં જારી સંઘર્ષને કારણે દુનિયાભરમાં ઉર્જા સંકટ ઊભું થયું છે, પરંતુ ભારત સરકારે દેશમાં રાંધણ ગેસની અછત ન સર્જાય તે માટે કમર કસી છે. સરકારે પાંચ કિલોગ્રામવાળા નાના એલપીજી સિલિન્ડર, જેને FTL (Free Trade LPG) સિલિન્ડર કહેવામાં આવે છે, તેનો પુરવઠો તેજ કરી દીધો છે. ૨૩ માર્ચ ૨૦૨૬ થી અત્યાર સુધીમાં દેશભરમાં આશરે ૬.૬ લાખ આવા સિલિન્ડરોનું વેચાણ થઈ ચૂક્યું છે.
કોઈ એડ્રેસ પ્રૂફ નહીં, માત્ર ઓળખપત્ર પર મળશે ગેસ
આ નાના ‘છુટકુ’ સિલિન્ડરની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને ખરીદવા માટે કોઈ લાંબી પ્રક્રિયા કે એડ્રેસ પ્રૂફની જરૂર નથી. ગ્રાહકો માત્ર પોતાનું માન્ય ઓળખપત્ર બતાવીને નજીકના ગેસ ડીલર પાસેથી આ સિલિન્ડર મેળવી શકે છે. ૧૪.૨ કિલોના સબસિડીવાળા સિલિન્ડરની સરખામણીએ આ ૫ કિલોના સિલિન્ડર બજાર ભાવે ઉપલબ્ધ છે, જે તાત્કાલિક જરૂરિયાત પૂરી કરવામાં મદદરૂપ થઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : India First Hydrogen Train Trial: દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેનનું ટ્રાયલ સફળ, જાણો આ પ્રદૂષણમુક્ત ટ્રેન કેવી રીતે બદલશે મુસાફરીનો અંદાજ!
જમાખોરી વિરુદ્ધ સરકારની લાલ આંખ: ૩,૭૦૦ થી વધુ દરોડા
ગેસ અને તેલની કૃત્રિમ અછત ઊભી કરનારા જમાખોરો સામે સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે. અત્યાર સુધીમાં દેશભરમાં ૩,૭૦૦ થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે અને આશરે ૧,૦૦૦ ગેસ વિતરકોને કારણ બતાવો નોટિસ પાઠવવામાં આવી છે. આ ઉપરાંત, નિયમોનું ઉલ્લંઘન કરનારા ૩૬ ડીલરોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પેટ્રોલિયમ મંત્રાલયે જનતાને અપીલ કરી છે કે તેઓ ‘પેનિક બાયિંગ’ (ગભરાટમાં ખરીદી) ન કરે, કારણ કે દેશમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.
રિફાઈનરીઓ ફૂલ કેપેસિટીમાં: ખાતરના પ્લાન્ટ્સને પણ મળશે રાહત
સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશની તમામ રિફાઈનરીઓ હાલમાં પૂરતા કાચા તેલના ભંડાર સાથે સંપૂર્ણ ક્ષમતાથી કામ કરી રહી છે. ૬ એપ્રિલથી ખાતરના પ્લાન્ટ્સને થતો ગેસ સપ્લાય પણ વધીને સરેરાશ વપરાશના ૯૦ ટકા સુધી પહોંચવાની આશા છે. આગામી સમયમાં આવનારા એલએનજી (LNG) કાર્ગોથી આ સ્થિતિ વધુ સુધરશે. ટ્રાન્સપોર્ટેશન અને ઘરેલું વપરાશ માટે ઈંધણનો પુરવઠો જાળવી રાખવા માટે સરકાર સતત સક્રિય છે.