News Continuous Bureau | Mumbai
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના આશિયાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સનસનાટીભર્યો હત્યાકાંડ પ્રકાશમાં આવ્યો છે. એક પુત્રએ પોતાના જ પિતાની ગોળી મારીને હત્યા કરી દીધી અને પુરાવા છુપાવવા માટે મૃતદેહના ટુકડા કરી તેને બ્લુ કલરના ડ્રમમાં છુપાવી દીધા હતા. મૃતક વેપારી માનવેન્દ્ર પ્રતાપ સિંહ ૨૦ ફેબ્રુઆરીથી ગુમ હતા, જેની તપાસ દરમિયાન પોલીસે તેમના પુત્ર અક્ષય પ્રતાપ સિંહની ધરપકડ કરી છે.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે માનવેન્દ્ર સિંહ (૪૯ વર્ષ) તેમના પુત્ર અક્ષયને સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કરવા માટે દબાણ કરતા હતા. ૨૦ ફેબ્રુઆરીની વહેલી સવારે આ બાબતે પિતા-પુત્ર વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. ગુસ્સામાં આવીને અક્ષયે પિતાની રાઈફલથી તેમને ગોળી મારી દીધી હતી. આ કરૂણ ઘટના સમયે આરોપીની બહેન પણ ઘરમાં હાજર હતી, જેને અક્ષયે ડરાવી-ધમકાવીને ચૂપ કરી દીધી હતી.
મૃતદેહના ટુકડા કરી અલગ-અલગ જગ્યાએ ફેંક્યા
પિતાની હત્યા કર્યા પછી આરોપીએ મૃતદેહને ગ્રાઉન્ડ ફ્લોર પરના એક ખાલી રૂમમાં રાખ્યો હતો. ત્યાં તેણે ધારદાર હથિયારથી મૃતદેહના અનેક ટુકડા કર્યા અને તેને બ્લુ ડ્રમમાં ભરી દીધા હતા. આરોપીએ શરીરના કેટલાક ભાગો સદ્રૌના પાસે ફેંકી દીધા હતા. પોલીસે આરોપીની નિશાનદેહી પર બ્લુ ડ્રમમાંથી મૃતદેહનો ધડનો ભાગ કબજે કર્યો છે, જોકે હજુ સુધી માથુંમળી આવ્યું નથી.
આ સમાચાર પણ વાંચો : PM Modi’s Israel Visit: ઈઝરાયેલના સ્પીકરની વિપક્ષને ગર્જના: ‘PM મોદીનું સ્વાગત ભવ્ય જ થશે’, સંસદમાં સંબોધન મુદ્દે મચ્યો ભારે હોબાળો.
રાઈફલ અને હથિયાર કબજે, આરોપી જેલ ભેગો
ડીસીપી એ જણાવ્યું કે, પોલીસે હત્યામાં વપરાયેલી રાઈફલ અને ધારદાર હથિયાર રિકવર કર્યા છે. શરૂઆતમાં આરોપી પુત્ર પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ જ્યારે પોલીસે કડક પૂછપરછ કરી ત્યારે તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આરોપીની માતાનું પહેલેથી જ અવસાન થઈ ચૂક્યું છે, અને હવે પિતાની હત્યા બાદ પરિવાર વેરવિખેર થઈ ગયો છે.
સમાજ માટે ચેતવણીરૂપ કિસ્સો
અભ્યાસ અને કારકિર્દીના દબાણને કારણે સર્જાયેલી આ હિંસક ઘટનાએ લખનૌમાં હડકંપ મચાવી દીધો છે. માનસિક તણાવ અને ગુસ્સામાં લેવાયેલું આ પગલું એક હસતા-રમતા પરિવારના વિનાશનું કારણ બન્યું છે. પોલીસ હવે આ મામલે બહેનની જુબાની અને અન્ય પુરાવાઓ એકત્ર કરીને કાયદાકીય કાર્યવાહીકરી રહી છે.