News Continuous Bureau | Mumbai
Yamuna Expressway Accident: મથુરામાં યમુના એક્સપ્રેસ-વે પર શનિવારે વહેલી સવારે પોણા ત્રણ વાગ્યાની આસપાસ એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો છે. દિલ્હીથી કાનપુર જઈ રહેલી ખાનગી બસના મુસાફરો જ્યારે નીચે ઉતર્યા હતા, ત્યારે પાછળથી આવતા એક તેજ રફ્તાર કન્ટેનરે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 6 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.દિલ્હીના નાંગલોઈથી કાનપુરના રસૂલાબાદ જઈ રહેલી આ બસ સુરીર પોલીસ સ્ટેશન વિસ્તારના માઈલ સ્ટોન 88 પાસે ઉભી રહી હતી. મુસાફરોએ લઘુશંકા માટે બસ થોભાવવા વિનંતી કરી હતી, પરંતુ ચાલકે બસને સુરક્ષિત ગ્રીન ઝોનમાં પાર્ક કરવાને બદલે રસ્તા પર જ ઉભી રાખી દીધી હતી. મુસાફરો જેવા નીચે ઉતર્યા કે તરત જ પાછળથી પૂરપાટ ઝડપે આવતા કન્ટેનરે પહેલા બસને ટક્કર મારી અને પછી નીચે ઉભેલા મુસાફરોને કચડી નાખ્યા હતા.
મૃતકોની ઓળખ
પ્રાપ્ત માહિતી મુજબ અકસ્માતમાં જીવ ગુમાવનારા છ લોકોમાંથી ચારની ઓળખ થઈ શકી છે:
સોનુ: રહે. સરવા કટરા, ઔરૈયા.
દેવેશ: રહે. અલેવલ, બસ્તી.
અસ્લમ: રહે. ગણેશ કા પુરવા, કન્નૌજ.
સંતોષ: રહે. પ્રેમ નગર, દિલ્હી.
અન્ય બે વ્યક્તિઓની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. જ્યારે ઔરૈયાના રહેવાસી અમર દુબે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Piyush Goyal: ભારત-અમેરિકા ટ્રેડ ડીલનું ફ્રેમવર્ક જાહેર: ભારતીય નિકાસકારો માટે 30 ટ્રિલિયન ડોલરનું બજાર ખુલશે, જાણો ખેડૂતો અને માછીમારોને શું થશે ફાયદો.
પોલીસ કાર્યવાહી અને ટ્રાફિકની સ્થિતિ
સુરીર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એ જણાવ્યું હતું કે, ઘટના સમયે ધુમ્મસ નહોતું, છતાં વધુ પડતી સ્પીડને કારણે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ એક્સપ્રેસ-વે પર થોડો સમય ટ્રાફિક જામ થયો હતો, પરંતુ પોલીસે તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
