News Continuous Bureau | Mumbai
Modi Cabinet Report Card। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પાંચ દેશોના (યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલી) સફળ પ્રવાસેથી પરત ફરતાની સાથે જ ફૂલ એક્શન મોડમાં આવી ગયા છે. ગુરુવારે દિલ્હીમાં વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીપરિષદની સાડા ચાર કલાક લાંબી બેઠકની ગૂંજ રાજકીય ગલિયારાઓમાં ખૂબ જ તેજ થઈ ગઈ છે. આ બેઠકમાં પીએમ મોદીએ સીધા જ તમામ કેન્દ્રીય મંત્રીઓના કામકાજનું ‘રિપોર્ટ કાર્ડ’ (Report Card) ખોલીને ટેબલ પર મૂકી દીધું છે. એનડીએ૩ (NDA3) સરકારના આગામી ૯ જૂન ૨૦૨૬ ના રોજ બે વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, તે પહેલાં લેવાયેલી આ મધ્યસત્ર સમીક્ષાથી મોદી કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળોએ જોર પકડ્યું છે.
ફાઈલોનો નિકાલ અને જનતાની ફરિયાદોના આધારે બની લિસ્ટ
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ બેઠક માત્ર એક સામાન્ય ચર્ચા નહોતી પરંતુ તેમાં કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબા અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ દ્વારા તમામ મંત્રાલયોના પર્ફોર્મન્સનું બારીકાઈથી ઓડિટ કરતું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. મંત્રાલયોનું રેન્કિંગ નક્કી કરવા માટે મુખ્યત્વે બે મહત્વના માપદંડોને આધાર બનાવવામાં આવ્યા હતા: ૧. ફાઈલોનો નિકાલ: મંત્રાલયોમાં સરકારી ફાઈલો અને નિર્ણયો કેટલી ઝડપથી આગળ વધી રહ્યા છે. ૨. પબ્લિક ગ્રીવાન્સ (જનતાની ફરિયાદો): સામાન્ય નાગરિકોની ફરિયાદો ઉકેલવામાં કયું મંત્રાલય કેટલું સક્રિય કે સુસ્ત રહ્યું છે. આ જ આધારે સૌથી શ્રેષ્ઠ કામ કરનારા ‘ટોપ-૫’ અને સૌથી ખરાબ પ્રદર્શન કરનારા ‘બોટમ-૫’ મંત્રાલયોની એક યાદી પીએમ સમક્ષ રજૂ કરાઈ હતી. જો કે, હજુ સુધી આ ખરાબ પ્રદર્શન કરનારા મંત્રીઓના નામો સત્તાવાર રીતે જાહેર કરાયા નથી.
નબળું પ્રદર્શન કરનારા મંત્રીઓને પીએમ મોદીની કડક ચેતવણી
આ રેન્કિંગમાં જે મંત્રાલયો અને મંત્રીઓનું પ્રદર્શન સૌથી નીચે એટલે કે ‘બોટમ-૫’ માં રહ્યું છે, તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠકમાં જ સીધી અને કડક ચેતવણી આપી દીધી છે. પીએમએ આવા મંત્રાલયોને પોતાની કાર્યશૈલીમાં તાત્કાલિક સુધારો કરવા અને જરૂરી સુધારાત્મક પગલાં ભરવાના કડક આદેશ આપ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, સરકારી નિર્ણયો ઝડપથી લેવાવા જોઈએ, પ્રોડક્ટિવિટી વધારવી પડશે અને કોઈપણ પ્રકારની લાલફીતાશાહી (રેડ ટેપિઝમ) વિના સરકારી ફાઈલો તાત્કાલિક ક્લિયર થવી જોઈએ જેથી વિકાસ કાર્યો અટકે નહીં.
‘ઈઝ ઓફ લિવિંગ’ અને ‘વિકસિત ભારત ૨૦૪૭’ પર વિશેષ ભાર
આ મહાબેઠકમાં કૃષિ, શ્રમ, માર્ગ પરિવહન, કોર્પોરેટ બાબતો, વિદેશ, વાણિજ્ય અને ઉર્જા સહિતના તમામ મોટા મંત્રાલયોએ પાછલા બે વર્ષના કામનો હિસાબ આપ્યો હતો. પીએમ મોદીએ મંત્રીઓ અને ઉચ્ચ સચિવોને બે ટૂંક શબ્દોમાં સંભળાવ્યું હતું કે, સરકારનું કામ લોકોની જિંદગીમાં બિનજરૂરી દખલગીરી કરવાનું નથી, પરંતુ જરૂરિયાતના સમયે તેમની મદદ કરવાનું છે. તેમણે ‘ઈઝ ઓફ લિવિંગ’ (Ease of Living) પર ફોકસ કરતા કહ્યું કે દરેક નવા સુધારાનો અંતિમ હેતુ સામાન્ય નાગરિકનું જીવન સરળ બનાવવાનો હોવો જોઈએ. આ સાથે જ તેમણે યાદ અપાવ્યું કે ‘વિકસિત ભારત ૨૦૪૭’ એ માત્ર કોઈ રાજકીય નારો નથી, પરંતુ દેશ પ્રત્યે સરકારની અતૂટ પ્રતિબદ્ધતા છે. તમામ મંત્રીઓને દિલ્હીમાં જ હાજર રહેવા જણાવાયું હોવાથી ટૂંક સમયમાં જ નબળા મંત્રીઓની કેબિનેટમાંથી છુટ્ટી થઈ શકે છે.
👉 આ સમાચાર વાચો:
NEET UG Paper Leak| મરાઠી ટ્રાન્સલેશનના નામે થયો મોટો ખેલ! NTA એ સંસદીય સમિતિને જણાવ્યું કેવી રીતે લીક થયા પ્રશ્નો