News Continuous Bureau | Mumbai
Monsoon 2026 Update। ભીષણ ગરમી અને હીટવેવ વચ્ચે દેશવાસીઓ માટે ચોમાસાને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, આગામી ૪૮ કલાકમાં નૈઋત્યનું ચોમાસું અંદામાન સમુદ્ર અને અંદામાનનિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં દસ્તક આપી શકે છે. ચોમાસાની પ્રગતિ માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે, જે ખેડૂતો અને સામાન્ય જનતા માટે મોટા આશ્વાસન સમાન છે.
૧૬ મે આસપાસ અંદામાનમાં એન્ટ્રી
હવામાન વિભાગના રિપોર્ટ મુજબ, ૧૬ મેની આસપાસ દક્ષિણ બંગાળની ખાડી, અંદામાન સમુદ્ર અને અંદામાન-નિકોબાર ટાપુઓમાં ચોમાસું પહોંચવાની પ્રબળ શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ક્ષેત્ર સક્રિય થવાને કારણે ચોમાસાની ગતિ તેજ બની છે. આ વર્ષે બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈ ચક્રવાત સર્જાયું નથી, જે ચોમાસાને કોઈપણ અવરોધ વિના આગળ વધવામાં મદદ કરશે.
કેરળ અને મહારાષ્ટ્રમાં આગમનનું શિડ્યુલ
ચોમાસાના નિર્ધારિત સમયપત્રક મુજબ, ૩૧ મે સુધીમાં ચોમાસું ભારતના પ્રવેશદ્વાર ગણાતા કેરળમાં પહોંચશે. ત્યારબાદ તેની ઉત્તર તરફની પ્રગતિને આધારે તે ૫ જૂને ગોવા અને ૬ જૂન સુધીમાં કોંકણ (મહારાષ્ટ્ર) પહોંચે તેવી શક્યતા છે. પુણેમાં ૭ જૂન સુધીમાં વરસાદની એન્ટ્રી થઈ શકે છે. મહારાષ્ટ્રમાં ચોમાસાના સમયસર આગમનને કારણે ગુજરાતમાં પણ જૂનના બીજા સપ્તાહમાં વરસાદી માહોલ જામી શકે છે.
દક્ષિણ ભારતમાં વરસાદ અને ઉત્તર ભારતમાં હીટવેવ
આગામી ૪-૫ દિવસોમાં પૂર્વોત્તર ભારત અને દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે. તમિલનાડુ, કેરળ, પુડુચેરી અને કર્ણાટકમાં ૧૩ થી ૧૯ મે દરમિયાન મુસળધાર વરસાદ પડી શકે છે. જોકે, બીજી તરફ ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં હીટવેવનો કહેર ચાલુ રહેશે. ગઈકાલે રાજસ્થાનના બાડમેરમાં દેશનું સૌથી વધુ ૪૮.૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
👉 આ સમાચાર વાચો:
Energy Crisis। ભારતને જેનો ડર હતો એ જ થયું રશિયાનું સસ્તું તેલ આવતીકાલથી થઈ શકે છે બંધ, જાણો શું છે કારણ
