News Continuous Bureau | Mumbai
Mumbai-Ahmedabad Vande Bharat Express મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે દોડતી દેશની ૪૨મી વંદે ભારત એક્સપ્રેસ (૨૨૯૬૯/૨૨૯૬૧) માં રેલવે મંત્રાલયે મહત્વનો ફેરફાર કર્યો છે. આ ટ્રેનની વધતી માંગ અને પ્રવાસીઓની ભીડને ધ્યાનમાં રાખીને હાલના ૧૬ કોચને વધારીને ૨૦ કોચ કરવામાં આવ્યા છે. આ ફેરફારથી મુંબઈ અને ગુજરાત વચ્ચે મુસાફરી કરતા હજારો પ્રવાસીઓને સીધો ફાયદો થશે.
તાત્કાલિક ધોરણે વધારાના કોચની સુવિધા
રેલવેની સત્તાવાર જાહેરાત મુજબ, આ ફેરફાર હાલમાં હંગામી ધોરણે કરવામાં આવ્યો છે. ૯ માર્ચ ૨૦૨૬ થી ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી ટ્રેનમાં ૪ વધારાના એસી કોચ જોડવામાં આવશે. પીક સીઝન દરમિયાન પ્રવાસીઓને કન્ફર્મ ટિકિટ મળી રહે અને મુસાફરી સુખદ બને તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. વધારાના કોચ જોડાવાથી ટ્રેનની કુલ પ્રવાસી ક્ષમતામાં ૨૭૮ બેઠકો નો વધારો થશે.
માત્ર ૫ કલાકમાં મુંબઈ થી અમદાવાદ
મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચેનું ૪૯૧ કિમીનું અંતર આ સેમી હાઈ-સ્પીડ ટ્રેન માત્ર ૫ કલાક ૪૦ મિનિટ માં કાપે છે. સરેરાશ ૯૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત અને વડોદરા જંક્શન જેવા મહત્વના સ્ટેશનો પર ઉભી રહે છે. ઝડપી અને આરામદાયક મુસાફરીને કારણે ઉદ્યોગપતિઓ અને વેપારીઓમાં આ ટ્રેન પ્રથમ પસંદગી બની છે.
આ સમાચાર પણ વાંચો : Shani Asta 2026: ૧૩ માર્ચથી શનિ અસ્ત! સાડાસાતી અને ઢૈય્યાનો કહેર ઘટશે; આ ૪ ભાગ્યશાળી રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ સમય.
વંદે ભારતનું વિસ્તરણ
વર્ષ ૨૦૧૯માં શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસની સફળતા બાદ અત્યાર સુધીમાં દેશમાં કુલ ૧૬૦ વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવી છે. હવે રેલવે વિભાગ મહત્વના અને વ્યસ્ત રૂટ પર ટ્રેનોની લંબાઈ વધારીને તેને ૨૦ કોચની બનાવવાની દિશામાં કામ કરી રહ્યું છે, જેથી વધુમાં વધુ મુસાફરો આ સેવાનો લાભ લઈ શકે.
