News Continuous Bureau | Mumbai
NEET UG Paper Leak| મેડિકલના અંડરગ્રેજ્યુએટ કોર્સોમાં પ્રવેશ માટે લેવાતી નીટયુજી (NEETUG) પરીક્ષાના પેપર લીક મામલે દિલ્હીમાં સંસદીય સમિતિ સમક્ષ એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. શિક્ષણ મંત્રાલય સાથે જોડાયેલી સંસદીય સમિતિની બેઠકમાં હાજર રહેલા નેશનલ ટેસ્ટિંગ એજન્સીના (NTA) ઉચ્ચ અધિકારીઓએ દાવો કર્યો છે કે, નીટયુજીનું મુખ્ય પ્રશ્નપત્ર સત્તાવાર રીતે લીક નહોતું થયું, પરંતુ સિસ્ટમમાં ગંભીર ખામી સર્જાઈ હતી. એનટીએના જણાવ્યા અનુસાર, જે શિક્ષકોને આ પેપરનું મરાઠી ભાષામાં અનુવાદ (ટ્રાન્સલેશન) કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું, તેમણે જ પ્રશ્નો ગોખી લીધા હતા અને ત્યારબાદ તેને કાગળ પર ઉતારીને ‘ગેસ પેપર’ ના નામે વિદ્યાર્થીઓને વેચી દીધા હતા.
દિગ્વિજય સિંઘ અને ભાજપના સાંસદો વચ્ચે બેઠકમાં જોરદાર હંગામો
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંઘની આગેવાની હેઠળ યોજાયેલી આ સંસદીય સમિતિની બેઠકમાં લોકસભા અને રાજ્યસભાના આશરે ૧૫ સાંસદો હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન ભારે હંગામો જોવા મળ્યો હતો, કારણ કે સમિતિના અધ્યક્ષ દિગ્વિજય સિંઘ આ સમગ્ર ઘટનાને ખુલ્લેઆમ ‘પેપર લીક’ માની રહ્યા હતા. બીજી તરફ, બેઠકમાં હાજર ભાજપના સાંસદોએ આ વાતનો સખત વિરોધ કર્યો હતો. ભાજપના સાંસદ સંબિત પાત્રાએ દિગ્વિજય સિંઘ પર ‘એજન્ડા લીક’ કરવાનો આક્ષેપ કર્યો હતો, જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે જ્યાં સુધી સીબીઆઈ (CBI) ની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ અંતિમ તારણ પર પહોંચવું યોગ્ય નથી.
પ્રશ્નપત્રની સુરક્ષા અંગે એનટીએના ડાયરેક્ટર જનરલ મૌન રહ્યા
બેઠક દરમિયાન સમિતિના કેટલાક સભ્યોએ એનટીએના દાવા સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા. સભ્યોનું કહેવું હતું કે જ્યારે પરીક્ષાના હૂબહૂ પ્રશ્નો ગેસ પેપર દ્વારા બહાર આવી ચૂક્યા હોય, તો તેને કાનૂની રીતે પેપર લીક જ ગણવામાં આવશે. સમિતિના સભ્યોએ પ્રશ્નપત્ર તૈયાર કરવાની ગુપ્ત પ્રક્રિયા અને સુરક્ષા પ્રોટોકોલ અંગે એનટીએના મહાનિદેશક (ડાયરેક્ટર જનરલ) સામે સવાલોનો મારો ચલાવ્યો હતો. જો કે, મહાનિદેશકે આ સવાલોના કોઈ સીધા જવાબો આપ્યા નહોતા અને માત્ર એટલું જ કહ્યું હતું કે આ મામલાની હજુ સીબીઆઈ તપાસ ચાલી રહી છે, તેથી વધુ માહિતી આપી શકાય નહીં.
રાધાકૃષ્ણન સમિતિની ભલામણો અને પ્રશ્નપત્રના ૧૦ સેટ બનાવવાનો સુઝાવ
શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ સચિવ વિનીત જોશી અને એનટીએના મહાનિદેશક અભિષેક સિંઘે બેઠકમાં પરીક્ષાઓના પ્રોટોકોલની વિગતવાર માહિતી આપી હતી. તેમણે દાવો કર્યો હતો કે એજન્સી દ્વારા ‘રાધાકૃષ્ણન સમિતિ’ ની આશરે ૭૦ ટકા ભલામણોનો અમલ ઓલરેડી કરી દેવામાં આવ્યો છે. ભવિષ્યમાં આવી ગેરરીતિઓ રોકવા માટે સંસદીય સમિતિ દ્વારા એનટીએને એક મહત્વનો સુઝાવ આપવામાં આવ્યો હતો કે, આગામી સમયમાં પ્રશ્નપત્રના કુલ ૧૦ અલગ-અલગ સેટ બનાવવામાં આવે. આ સેટને મિક્સ કરીને જુદા-જુદા રાજ્યોમાં મોકલવામાં આવે, જેથી જો ભવિષ્યમાં કોઈ એક પેપર લીક પણ થાય તો તેની અસર માત્ર એક જ રાજ્ય પૂરતી મર્યાદિત રહે અને આખા દેશના લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય નહીં.
👉 આ સમાચાર વાચો:
Lucknow Expressway Accident| લખનૌ એક્સપ્રેસવે પર કન્ટેનર સાથે ભીડાતા જ લક્ઝરી બસ સળગી ઉઠી, ડ્રાઈવર જીવતો હોમાયો, મુસાફરોમાં ચીસાચીસ
