News Continuous Bureau | Mumbai
Pariksha Pe Charcha વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ હેઠળ ફરી એકવાર દેશના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. આ વખતે કાર્યક્રમનો બીજો એપિસોડ તમિલનાડુના કોઈમ્બતુર ખાતે યોજાયો હતો. પીએમ મોદીએ વિદ્યાર્થીઓને પરીક્ષાનો તણાવ કેવી રીતે હેન્ડલ કરવો અને અભ્યાસનું આયોજન કેવી રીતે કરવું તે વિશે મહત્વનો મંત્ર આપ્યો હતો. આ કાર્યક્રમની સૌથી ખાસ વાત એ રહી કે વિદ્યાર્થીઓ પીએમ મોદી માટે પોતપોતાના ઘરેથી ટિફિન લાવ્યા હતા, જેમાં મહારાષ્ટ્ર અને છત્તીસગઢની ખાસ વાનગીઓ સામેલ હતી.
પીએમ મોદીનો મંત્ર – “વર્ગના સૌથી નબળા વિદ્યાર્થી સાથે મિત્રતા કરો”
વિદ્યાર્થીઓને સંબોધતા પીએમ મોદીએ એક અનોખી ટેકનિક જણાવી હતી. તેમણે કહ્યું કે, તમે વર્ગના સૌથી નબળા વિદ્યાર્થીઓ સાથે મિત્રતા કરો અને તેમને ભણાવવાનો પ્રયત્ન કરો. જ્યારે તમે કોઈને ગણિત કે અન્ય વિષય શીખવો છો, ત્યારે તમારા મગજ પર દબાણ આવે છે અને તે વિષય તમને મોઢે થઈ જાય છે. આનાથી તે વિદ્યાર્થીને મદદ તો મળશે જ, પરંતુ પરીક્ષામાં સીધો ફાયદો તમને થશે. મોદીએ 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને ભવિષ્યમાં સ્ટાર્ટઅપ્સ અને ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવા પણ પ્રોત્સાહિત કર્યા હતા.
મહારાષ્ટ્રની ચકલી અને છત્તીસગઢની ખુરમીનો સ્વાદ
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ પીએમ મોદી માટે ખાસ ટિફિન લાવ્યા હતા. એક વિદ્યાર્થીએ મોદીને મહારાષ્ટ્રની પ્રખ્યાત ‘ચકલી’ વડાવી હતી. મોદીએ કુતૂહલવશ પૂછ્યું કે આ કેવી રીતે બને છે? ત્યારે વિદ્યાર્થીએ જણાવ્યું કે ચણાના લોટને ગોળ આકાર આપીને તળવામાં આવે છે અને તે દિવાળીમાં ખાસ બનાવવામાં આવે છે. બીજી તરફ, છત્તીસગઢની એક વિદ્યાર્થિનીએ પીએમને ‘ખુરમી’ આપી હતી. તેણે સમજાવ્યું કે ગોળ, લોટ અને સોજીના મિશ્રણથી આ સ્વાદિષ્ટ વાનગી તૈયાર થાય છે. પીએમ મોદીએ આ તમામ વાનગીઓનો આસ્વાદ લીધો અને પોતાના હાથે અન્ય વિદ્યાર્થીઓને પણ ખવડાવી હતી.
આ સમાચાર પણ વાંચો : Mahashivratri 2026: મહાદેવને પ્રસન્ન કરવા કઈ સામગ્રીથી કરશો અભિષેક? જાણો દૂધ, મધ અને શેરડીના રસથી રુદ્રાભિષેક કરવાનું મહાફળ
વિદ્યાર્થીઓની વિનંતી પર દેશના વિવિધ ભાગોમાં આયોજન
પીએમ મોદીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓએ વિનંતી કરી હતી કે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ માત્ર દિલ્હી પૂરતો મર્યાદિત ન રહેતા દેશના અલગ-અલગ ભાગોમાં થવો જોઈએ. આથી જ આ વખતે દક્ષિણ ભારતમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને ઉમેર્યું કે તેઓ આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી પણ ઘણું શીખતા હોય છે. ખાસ કરીને જ્યારે વિદ્યાર્થીઓ તેમને નવા જમાનાના સ્ટાર્ટઅપ્સ વિશે પૂછે છે, ત્યારે તેમને દેશના ભવિષ્યમાં અતૂટ વિશ્વાસ બેસે છે.
