ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 23 ડિસેમ્બર 2021
ગુરુવાર.
દેશમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો ખતરો સતત વધી રહ્યો છે. દેશમાં ઓમિક્રોન કેસની સંખ્યા 213 પર પહોંચી ગઈ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સ્થિતિને લઈને આજે સમીક્ષા બેઠક બોલાવી છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશમાં ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકમાં ઓમિક્રૉન સ્થિતિ વિશે પીએમ મોદી મીટિંગમાં જાણકારી મેળવશે તથા કોરોના સામે લડવા માટે અધિકારીઓને કેટલાક આદેશ આપે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. આ બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રાલય અને ગૃહમંત્રાલયના ટોપ અધિકારીઓ સામેલ થઈ શકે છે.
આ ઉપરાંત મોદી સરકારે રાજ્યોને એલર્ટ કરી દીધા છે. મંગળવારે, કેન્દ્રીય આરોગ્ય સચિવ સચિવ રાજેશ ભૂષણે રાજ્ય સરકારોને પત્ર લખીને દેખરેખ વધારવા અને યુદ્ધના ધોરણે કામ કરવાનો નિર્દેશ આપ્યો છે. વૈજ્ઞાનિક પુરાવાઓને ટાંકીને તેમણે કહ્યું કે ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ઓછામાં ઓછા ત્રણ ગણું વધુ ચેપી છે. તેમણે રાજ્યોને કડક નિવારણ પગલાં અપનાવવા અને જરૂરિયાત મુજબ સ્થાનિક સ્તરે રાત્રિ કર્ફ્યુ જેવા નિયંત્રણો લાદવા પણ કહ્યું છે.
