News Continuous Bureau | Mumbai
West Bengal Post Poll Violence| પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ પણ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. કોલકાતાના ન્યૂ માર્કેટ વિસ્તારમાં એક ભીડ દ્વારા બુલડોઝરની મદદથી ટીએમસી યુનિયન ઓફિસ અને કેટલીક દુકાનો તોડી પાડવામાં આવતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં સ્થાનિક વેપારીઓ ડરના માર્યા શટર પાડીને ભાગતા જોવા મળી રહ્યા છે.
TMC એ ભાજપ પર લગાવ્યો ‘આતંક’ નો આરોપ
આ ઘટનાને લઈને તૃણમૂલ કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા છે. પાર્ટીએ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “ભાજપનું ‘પરિવર્તન’ બુલડોઝર સાથે આવ્યું છે. ભાજપના સમર્થકોએ ન્યૂ માર્કેટ વિસ્તારમાં દુકાનો તોડી અને ટીએમસી ઓફિસમાં તોડફોડ કરી.” પાર્ટીએ એવો પણ ગંભીર આરોપ લગાવ્યો કે કેન્દ્રીય સુરક્ષા દળોને ‘પાછળ રહેવા’ અને આ બધું થવા દેવાની સૂચના આપવામાં આવી હતી. ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ આ ઘટનાને ‘બંગાળીઓ પરિવર્તનનો આનંદ માણી રહ્યા છે’ તેમ કહીને કટાક્ષ કર્યો હતો.
સ્થાનિક લોકોનો અલગ જ દાવો
બીજી તરફ, સ્થાનિક લોકોનું કહેવું છે કે જે બિલ્ડિંગ તોડવામાં આવ્યું છે તે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું હતું. લોકોના મતે આ જગ્યા અગાઉ એક દુકાનદાર પાસેથી બળજબરીથી છીનવી લેવામાં આવી હતી અને બાદમાં તેને ટીએમસી યુનિયન ઓફિસમાં ફેરવી દેવામાં આવી હતી. હાલમાં વિસ્તારમાં શાંતિ જાળવવા માટે સુરક્ષા દળોનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
હિંસામાં બે કાર્યકરોના મોત
ચૂંટણી બાદ ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં ભાજપ અને ટીએમસીના એક-એક કાર્યકરે જીવ ગુમાવ્યો છે. ન્યૂ ટાઉન વિસ્તારમાં વિજય સરઘસ દરમિયાન ભાજપના કાર્યકર મધુ મંડલનું મોત નીપજ્યું હતું, જ્યારે બીરભૂમના નાનૂરમાં ટીએમસી કાર્યકર અબીર શેખની હત્યા કરવામાં આવી હતી. રાજ્યમાં વધતા તણાવને જોતા વહીવટીતંત્ર સતર્ક બન્યું છે, પરંતુ હિંસાના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા.
👉 આ સમાચાર વાચો:
Kailash Mansarovar Yatra। કૈલાશ માનસરોવર યાત્રા મોંઘી થઈ ખર્ચમાં ૩૫ હજારનો વધારો, હવે શ્રદ્ધાળુઓએ પ્રતિ વ્યક્તિઆટલા લાખ ચૂકવવા પડશે