દેશભરમાં આજથી 18 વર્ષથી વધુ વયના લોકોને અપાશે બૂસ્ટર ડોઝ, પણ આ છે શરત… 

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

કોરોના વાયરસના સંભવિત ચોથી લહેર પહેલા મહામારી સામે કેન્દ્ર સરકારે પાળ બાંધવાનું શરૂ કર્યું છે. કોરોના વેક્સિનની ઝડપ વધારવા અને હવે લોકોને નવા વેરિયન્ટ સામે પણ રક્ષણ મળી રહે તે માટે બૂસ્ટર ડોઝ આપવાની યોજના સાથે મોદી સરકાર આગળ વધી રહી છે. અહીં નોંધનીય છે કે સરકારે 18થી વધુ વયના દરેક વ્યક્તિને હવે બૂસ્ટર ડોઝ આપવાની જાહેરાત શુક્રવારે કરી હતી. 

10મી એપ્રિલથી એટલે કે આજથી 18થી વધુ ઉંમરના દરેક વ્યક્તિને હવે બૂસ્ટર ડોઝ મળી શકશે. જોકે બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચે 9 મહિનાનો સમયગાળો હોવો ફરજિયાત છે. બુસ્ટર ડોઝ માટે, તમને તે જ રસી આપવામાં આવશે જે તમે તમારા પ્રથમ અને બીજા ડોઝ તરીકે લીધી છે. ઉદાહરણ તરીકે, જો તમને તમારા પ્રથમ અને બીજા ડોઝના સમયે કોવિશિલ્ડ આપવામાં આવી હોય તો તમને કોવિશિલ્ડનો સમાન બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : બૂસ્ટર ડોઝના પ્રારંભ પહેલા કોવિશિલ્ડ-કોવેક્સિનના ભાવમાં થયો ઘટાડો, હવે આટલા રૂપિયામાં મળશે…

ખાસ વાત એ છે કે સરકારે 18+ બૂસ્ટર ડોઝની પરવાનગી માત્ર ખાનગી વેક્સિનેશન સેન્ટરને જ આપી છે એટલે કે બૂસ્ટર ડોઝ માત્ર પ્રાઈવેટ વેક્સિનેશન સેન્ટર પર જ મેળવી શકાશે. સરકારી સેન્ટરોમાં ક્યારથી બૂસ્ટર ડોઝ લઈ શકાશે તે અંગે કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો.

બૂસ્ટર શોટ વિશે માહિતી આપતા, સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે દેશમાં પ્રથમ અને બીજા ડોઝ માટે સરકારી રોગપ્રતિરક્ષા કેન્દ્રો પર ચાલી રહેલા મફત રસીકરણ કાર્યક્રમની સાથે આરોગ્ય સંભાળ કાર્યકરો, ફ્રન્ટલાઈન વર્કર્સ અને ૬૦ વર્ષ કે તેથી વધુ લોકો માટે બૂસ્ટર ડોઝ આપવાનું કામ ચાલુ રહેશે અને તેમાં પહેલા કરતા વધુ ઝડપી કરવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો : કોરોના વાયરસે ફરી મોદી સરકારની ચિંતા વધારી, આ 5 રાજ્યોને કર્યા એલર્ટ અને કહ્યું કે…

હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને વૃદ્ધોને બાદ કરતા બાકીના લોકોએ કોવિડ -19 બુસ્ટર ડોઝ માટે ચૂકવણી કરવી પડશે. તે ખાનગી રસીકરણ કેન્દ્રો પર આપવામાં આવશે. શનિવારે જાહેરાત કરવામાં આવી હતી કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનના એક ડોઝની કિંમત હવે ખાનગી હોસ્પિટલોને 225 રૂપિયા થશે. અગાઉ તે અનુક્રમે 600 રૂપિયા અને 1,200 રૂપિયા પ્રતિ ડોઝ હતી.

હાલમાં દેશમાં ૧૫ વર્ષથી વધુ ઉંમરની લગભગ ૯૬ ટકા વસ્તીને કોરોના રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મળ્યો છે. જ્યારે, ૧૫ વર્ષથી ઉપરની વસ્તીના લગભગ ૮૩ ટકા લોકોએ રસીના બંને ડોઝ મેળવ્યા છે. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More