ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
21 જાન્યુઆરી 2021
કુંભમેળાની શરૂઆત પહેલાં જ રેલવેએ આગળ ઝીરો ઉમેરીને શ્રધ્ધાળુઓના ખિસ્સા ખાલી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. રેલવેએ 18 ટ્રેનોના જૂના નંબરોની આગળ ઝીરો લગાવીને કુંભ સ્પેશિયલ ટ્રેનનું નામ આપી દીધુ છે, હકીકતમાં આ ટ્રેનો પહેલાથી ચાલી જ રહી છે. કુંભ સ્પેશિલ ટ્રેનનું નામ આપીને રેલવે શ્રધ્ધાળુંઓ પાસેથી ત્રણ ગણું ભાડું વસુલતી હોવાનું જાણવા મળ્યું છે.
કુંભમેળાની શરૂઆત મકરસંક્રાંતિ એટલે કે 14 જાન્યુઆરીથી થઇ ચુકી છે અને એપ્રિલ મહિના સુધી ચાલશે, આ વખતે કુંભ મેળો હરિદ્રારમાં થવાનો છે. ત્યારે રેલવે કુંભ મેળા પહેલાં ચાલતી હરિદ્રારથી મુરાદાબાદની 18 ટ્રેનોને કુંભ સ્પેશિયલ નામ આપીને ફરી શરૂ કરી છે. કોરોના કાળમાં જે ટ્રેનોના ભાડા સામાન્ય હતા તેમાં રેલવેએ હવે ત્રણ ગણું ભાડું વધારી દીધું છે.
હરિદ્વારથી મુરાદાબાદ જવા માટે ઉપાસના એકસપ્રેસ ટ્રેનનું સ્લીપરનું ભાડું 170 રૂપિયા હતું જે સ્પેશિયલ કુંભ ટ્રેનના નામે 415 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. એની સાથે ફર્સ્ટ અને સેકન્ડ એસીના ભાડામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. ટ્રેનોના ભાડાં વધવાને કારણે યાત્રીઓ હવે બસમાં ધસારો કરી રહ્યા છે.
આ ટ્રેનના નંબર બદલીને ભાડાં ત્રણ ગણાં કરી દેવાયા
02369 કુંભ એકસપ્રેસ સ્લીપર પહેલાં 170, હવે 415
03009 દૂન એકસપ્રેસ સ્લીપર પહેલા 170, હવે 355
05005 ગંગા-રાપ્તી સ્લીપર પહેલાં 140, હવે 385
03010 યોગનગરી હાવડા પહેલાં 170, હવે 385
02327 ઉપાસના સુપર ફાસ્ટ પહેલાં 170, હવે 415
ઉલ્લેખનીય છે કે કુંભમેળાના પવિત્ર શાહી સ્નાન માટે દેશભરમાંથી લાખો શ્રધ્ધાળુઓ જતા હોય છે. કોરોના મહામારી વચ્ચે પણ દેશના આધ્યાત્મિક રાજધાની ગણાતા હરિદ્રારમાં કરોડો રૂપિયાના ખર્ચે કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ તો કુંભ મેળાનું આયોજન બાર વર્ષ પછી થતું હોય છે, પરંતું આવતા વર્ષે ગુરુ કુંભ રાશિમાં નહીં હોવાને કારણે એક વર્ષ પહેલાં એટલે કે 11મા વર્ષે કુંભ મેળાનું આયોજન કરી દેવામાં આવ્યું છે. કુંભ મેળામાં સામાન્ય લોકો અને મોટી સંખ્યામાં સાધુઓ પણ શાહી સ્નાન માટે એકઠાં થતા હોય છે.