ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,11 જાન્યુઆરી 2022
મંગળવાર.
ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના અને ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે વિદેશથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ અંતર્ગત વિદેશથી આવતા તમામ મુસાફરો માટે 7 દિવસનું હોમ ક્વોરેન્ટાઇન જરૂરી રહેશે.
આ અંગે એક નિવેદન જાહેર કરીને આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સંશોધિત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેથી કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના સંક્રમણને રોકી શકાય. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, કોરોનાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે વિદેશથી આવનાર લોકોને તાત્કાલિક બહાર જવાની કે ફરવાની પરવાનગી નથી. તેઓએ પહેલા હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. આના આઠ દિવસ પછી RT-PCR ટેસ્ટ કરાવવો જરૂરી રહેશે. ઉલ્લેખનીય છે કે સરકારે નવી ગાઇડલાઇન ગત સપ્તાહે બહાર પાડી હતી, પરંતુ આ માર્ગદર્શિકા આજથી અમલમાં આવી છે.
વિદેશથી આવતા પ્રવાસીઓ માટે નવી ગાઈડલાઈન
– તમામ મુસાફરોએ એર સુવિધા પોર્ટલ પર પોતાના વિશે સંપૂર્ણ અને સાચી માહિતી આપવાની રહેશે. આ સાથે જ મુસાફરીની તારીખના 14 દિવસ પહેલા કરવામાં આવેલી અન્ય મુસાફરીની વિગતો પણ આપવી પડશે.
– મુસાફરે નેગેટિવ RT-PCR રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. આ પરીક્ષણ મુસાફરીની તારીખના ઓછામાં ઓછા 72 કલાક પહેલા હોવું જોઈએ. આ ઉપરાંત ટેસ્ટ રિપોર્ટની વિશ્વસનીયતાનું એફિડેવિટ પણ આપવું પડશે.
– દરેક યાત્રીએ લેખિતમાં જણાવવું પડશે કે, તેઓ ક્વોરેન્ટાઇન, હેલ્થ મોનિટરિંગ સંબંધિત તમામ નિયમોનું પાલન કરશે.
– કોરોના ટેસ્ટમાં નેગેટિવ આવ્યા હોવા છતાં, મુસાફરો 7 દિવસ માટે ફરજિયાત હોમ ક્વોરેન્ટાઇનમાં રહેશે અને આઠમા દિવસે તેમનો RTPCR ટેસ્ટ થશે.
– આઠમા દિવસે લેવાયેલ RTPCR ટેસ્ટનું પરિણામ પણ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાનું રહેશે. નેગેટિવ આવ્યા પછી પણ, તમારે આગામી 7 દિવસ સુધી તમારા સ્વાસ્થ્યનું સેલ્ફ મૉનિટર કરવું પડશે.
 
			         
			         
                                                        