News Continuous Bureau | Mumbai
દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર આતંકી હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા લાલ કિલ્લાની આસપાસ અને ચાંદની ચોકના મહત્વના મંદિરો પર આઈઈડી ધડાકા કરવાનું કાવતરું ઘડી રહ્યું છે. 6 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં થયેલા વિસ્ફોટ બાદ આ સંગઠન ભારતમાં વળતો પ્રહાર કરવા માટે મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યું છે.સુરક્ષા એજન્સીઓને ઈનપુટ મળતા જ દિલ્હી પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ એક્શનમાં આવી ગઈ છે. લાલ કિલ્લો, ચાંદની ચોક અને તેની આસપાસના ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને ભીડભાડવાળા વિસ્તારોમાં વધારાનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે અને શંકાસ્પદ ગતિવિધિઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે.
ધાર્મિક સ્થળો અને મંદિરો આતંકીઓના નિશાને
સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, લશ્કરના આતંકીઓ દેશના મોટા મંદિરોને નિશાન બનાવી શકે છે. દિલ્હીના ચાંદની ચોકમાં આવેલા ઐતિહાસિક મંદિર પર હુમલો કરવાની તેમની યોજના હોવાનું સામે આવ્યું છે. કોઈપણ પ્રકારના સંભવિત ખતરાને પહોંચી વળવા માટે સુરક્ષા દળોએ અત્યારથી જ મોક ડ્રીલ અને તપાસ તેજ કરી દીધી છે.
આ સમાચાર પણ વાંચો : PM Modi Israel Visit: ડ્રેગન અને પાકિસ્તાનની ઊંઘ ઉડશે! ઇઝરાયેલ સાથે અત્યાધુનિક લેઝર ટેકનોલોજીનો સોદો કરશે ભારત; પીએમ મોદીનો માસ્ટરપ્લાન
નવેમ્બરમાં થયેલા વિસ્ફોટની યાદો થઈ તાજી
અત્રે ઉલ્લેખનીય છે કે, 10 નવેમ્બર 2025ના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે સાંજના સમયે એક કારમાં વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા હતા અને ઘણી ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. તે સમયે કાર પાર્કિંગમાં ત્રણ કલાક સુધી ઉભી રહી હતી અને ત્યારબાદ બ્લાસ્ટ થયો હતો. આ ઘટના બાદ ફરીથી મળેલા એલર્ટને કારણે પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક થઈ ગયું છે.
પાકિસ્તાનમાં થયેલા બ્લાસ્ટનું કનેક્શન
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં 6 ફેબ્રુઆરીના રોજ જુમ્માની નમાજ દરમિયાન એક ઈમામબારગાહમાં આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં ભારે જાનહાનિ થઈ હતી. આ ઘટના બાદ સરહદ પાર બેઠેલા આતંકી આકાઓ ભારતમાં અશાંતિ ફેલાવવા માટે સક્રિય થયા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાતા સમીકરણો વચ્ચે દિલ્હીની સુરક્ષા વ્યવસ્થાને લોખંડી બનાવી દેવામાં આવી છે.