Turmeric prices India: હળદરમાં સિઝનનાં પ્રારંભે જ મંદીથી ખેડૂતો પરેશાન

by Akash Rajbhar
Turmeric Prices Fall at Start of Season; Farmers Worried Over Export Slowdown

-D.K.
વૈશ્વિક બજારમાં ટોચના ઉત્પાદક અને નિકાસકાર તરીકે ભારતનું હળદરના કારોબારમાં આગવું પ્રભુત્વ છે એ વાત સાચી, પરંતુ આ પ્રભુત્વના આધારે તેજીના કેસરિયા કરવાનાં સપના જોતા વેપારીએ બજારના ફંડામેન્ટલ્સ ઉપર પણ ધ્યાન રાખવું પડશે. કારણ કે કોમોડિટીનાં કારોબારમાં સપના અને સલાહકારો ક્યારે બદલાઇ જાય તે નક્કી નથી. ભાવનો ગ્રાફ જોઇએ તો છઠ્ઠી જાન્યુઆરી-૨૦૨૬ ના રોજ એનસીડેક્સના વાયદામાં હળદરના ક્વિન્ટલ દિઠ ભાવ ૧૯૦૫૦ રૂપિયાની ટોચ દેખાડીને ગત નવમી માર્ચે ૧૪૦૮૨ રૂપિયાની નીચલી સપાટી દેખાડી ચુક્યા છે. બે મહિનામાં ભાવ ક્વિન્ટલ દિઠ આશરે ૫૦૦૦ રૂપિયા ઘટે ત્યારે તેજીવાળાનાં સપના તુટે તે સ્વાભાવિક છે.

એકતરફ હળદરના મથકોએ આવકો વધી રહી છે ત્યારે બીજીતરફ અખાતી યુધ્ધના કારણે નિકાસ એકદમ ઠપ્પ થઇ ગઇ છે. હજુ પણ આ યુધ્ધ ક્યારે સમાપ્ત થશે તેના કોઇ સંકેત મળતા ન હોવાથી નિકાસકારોની પુછપરછ બંધ થઇ ગઇ છે. વળી સ્ટોકિસ્ટો પણ નવા જોખમ લેવા માગતા નથી. જેના કારણે માગ કરતા પુરવઠો વધારે થઇ જતા ભાવ ઘટી રહ્યા છે. મથકોએથી મળતા અહેવાલો પ્રમાણે વિતેલા સપ્તાહમાં નિઝામાબાદમાં સરેરાશ દૈનિક ૧૫૦૦૦ બોરી હળદરની આવકો નોંધાઇ હતી. સાંગલીમાં પણ આવકો વધી રહી છે જ્યારે ઇરોડમાં નવા માલની થોડી આવકો શરૂ થઇ છે. જે આગામી દિવસોમાં વધવાની ધારણા છે. અચાનક પડેલી ગરમીના કારણે હળદરમાંથી ભેજ ઓછો થતાં હવે ખેડૂતો માલના નિકાલ માટે પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે આવા હવામાનમાં હળદરના ઉતારા વધવાની ખેડૂતોને આશા છે. વળી આ વખતે વાવેતર ૩૦ થી ૩૫ ટકા વધવાના અહેવાલો હોવાથી એપ્રિલ તથા મે મહિનામાં નવી હળદરની મોટાપાયે આવકો થશે. તેથી ખેડૂતોને ભાવ વધારે ઘટવાનો ભય સતાવે છે.

વ્યવસાયિક વર્તુળોના જણાવ્યા પ્રમાણે ડિસેમ્બર ૨૦૨૫ માં ભારતે ૧૪૮૬૫ ટન હળદરની નિકાસ કરી હતી, જે ડિસેમ્બર ૨-૨૪ માં ૧૫૩૧૯ ટનની નોંધાઇ હતી. સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં નિકાસ વધવાની ગણતરી હતી પરંતુ ફેબ્રુઆરી-૨૦૨૬ માં માંડ ૧૫૦૦૦ ટનની નિકાસ થઇ હોવાની ધારણા છૈ જ્યારે ૨૮ મી ફેબ્રુઆરીથી યુધ્ધ શરૂ થયા બાદ માર્ચ મહિનામાં નિકાસ સાવ નહિવત રહેવાનું અનુમાન છે. નવી મુંબઇ, સાંગલી તથા નિઝામાબાદમાં નિકાસકારોઐ નક્કી કરેલા સોદા ફોક થયાના અને ઓર્ડર કેન્સલ થયા હોવાના સમાચાર છે. વર્ષ ૨૦૨૪-૨૫ માં ભારતે ૧૭૬૨૮૮ ટન હળદરની નિકાસ કરી હતી જે ૨૦૨૫-૨૬ માં છેલ્લે મળેલા આંકડા પ્રમાણે હજુ સુધી ૧.૨૦ લાખ ટને પહોંચી છે. હવે એક મહિનામાં વધે તો પણ ગત વર્ષ જેટલી થવાની શક્યતા નહિવત જણાય છે.

આમ છતાં સિઝનના પ્રારંભે કેરી ફોરવર્ડ સ્ટોક ઓછો હોવાથી જ્યારે ખરીદી નીકળે છે ત્યારે ભાવ તિવ્ર ગતિએ વધે છે. જો કે બજારમાં ભારે અનિયમિતતા હોવાથી વેપારીઓએ સાવચેત વેપાર કરવા પડશે. એનસીડેક્સ ખાતે હળદરના વાયદામાં સરેરાશ દૈનિક ૪૦ કરોડ રૂપિયાનાં વેપાર થાય છે. જ્યારે ઓપન ઇન્ટરેસ્ટ ૨૨૭૦૦ ટનનાં છે. ઘટતી બજારે ખેડૂતો પરેશાન છે જ્યારે પહેલા વેચી અને પછી ખરીદી કરનારા વેપારીઓને નફો કમાવાની તક મળે છે. આ વખતે સિઝનમાં કુલ પુરવઠો ૪.૭૫ લાખ ટન રહેવાની ધારણા છે. જેની સરખામણીઐ સ્થાનિક વપરાશ ૩.૫૦ લાખ ટન રહેવાની ધારણા છે. જો નિકાસનું બજાર ખુલેતો જ વધારાનો ૧.૨૫ લાખ ટનનો બોજ હળવો થશે અને બજારમાં તેજીનો ચમકારો જોવા મળશે. હાલમાં યુએઇમાં નિકાસ બંધ છે તેથી નિકાસકારોની નજર અમેરિકા અને યુરોપ ઉપર ટકેલી છે. આ દેશોની ખરીદી નીકળશે પરંતુ ક્યારે નીકળશે તે નક્કી ન હોવાથી કોઇ સ્ટોકનું જોખમ લેવા તૈયાર નથી. આવા સંજોગોમાં ખેડૂતોએ રાહ જોવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી.

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More