ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 ઓક્ટોબર 2020
કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રિય સુરક્ષા દળોના આતંકવાદ વિરુદ્ધ અભિયાનથી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીની કમર તૂટી છે, પરંતુ અવાર-નવાર આતંકીઓ દ્વારા સુરક્ષા દળોની ટુકડીઓ પર ઘાતકી હુમલાનું પ્રમાણ પણ યથાવત છે. તાજેતરમાં જ શ્રીનગરમાં આતંકીઓએ CRPFની ટુકડી પર હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં પાંચ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ પૈકી બે જવાનો શહીદ થયા હતા.
મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીર હાઈવે પર પુલવામા જિલ્લાના પેમ્પોરમાં કાંધીજલ બ્રિજ ખાતે રસ્તો ખુલ્લો રાખવાની સીઆરપીએફના જવાનોની ટુકડી ફરજ બજાવી રહી હતી ત્યારે આતંકીઓએ હુમલો કરી ગોળીબાર કર્યો હતો. આતંકીઓના આ હુમલામાં પાંચ સીઆરપીએફના જવાનો ઘવાયા હતા. ઘવાયેલા સીઆરપીએફના જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે આ હુમલા પછી બાયપાસ હાઇવેની બંધ કરી દેવાયો હતો અને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
