News Continuous Bureau | Mumbai
Vrindavan Boat Tragedy: ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં યમુના નદીમાં શ્રદ્ધાળુઓથી ભરેલી એક મોટર બોટ પલટી જવાની હૃદયદ્રાવક ઘટના બની છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૦ લોકોના મોત થયા છે. મોડી રાત સુધી ચાલેલા ૫ કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ કાદવ અને ઉંડા પાણીમાં ફસાયેલી બોટને બહાર કાઢવામાં આવી છે. જોકે, હજુ પણ ૫ લોકો લાપતા છે જેની શોધખોળ તેજ ગતિએ ચાલી રહી છે.આ દુર્ઘટના બાંકે બિહારી મંદિરથી આશરે ૨.૫ કિમી દૂર કેશી ઘાટ પાસે બની હતી. બોટમાં ક્ષમતા કરતા વધુ એટલે કે ૩૦થી વધુ લોકો સવાર હતા. મથુરાના જિલ્લા મેજિસ્ટ્રેટના જણાવ્યા મુજબ, તમામ શ્રદ્ધાળુઓ પંજાબના લુધિયાણાના રહેવાસી હતા.
એક જ પરિવારના 7 સભ્યોના મોતથી અરેરાટી
દુર્ઘટનાનો ભોગ બનેલા ૧૦ લોકોમાંથી ૭ સભ્યો એક જ પરિવારના હતા, જેના કારણે સમગ્ર પંજાબ અને વૃંદાવનમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વડાપ્રધાન રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને ₹૨-૨ લાખ અને ઈજાગ્રસ્તોને ₹૫૦,૦૦૦ ની સહાયની જાહેરાત કરવામાં આવી છે. તમામ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરીને તેમને વતન રવાના કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો :Mumbai LPG : મુંબઈમાં LPG સિલિન્ડરના મોટા રેકેટનો પર્દાફાશ: 40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, ગેસ માફિયાઓમાં ફફડાટ!
કેવી રીતે બની દુર્ઘટના?
સ્થાનિક મરજીવાઓના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો. નદીની વચ્ચે અચાનક પવનને કારણે બોટ ડગમગવા લાગી હતી અને તેની સ્પીડ વધી ગઈ હતી. નિયંત્રણ ગુમાવતા બોટ નદી પર બનેલા પીપા પુલ (પોન્ટૂન બ્રિજ) સાથે અથડાઈ હતી અને પલટી ગઈ હતી. બોટ પલટતા જ ચીસાચીસ મચી ગઈ હતી, ૨૨ લોકોને બચાવી લેવાયા છે પરંતુ ૫ હજુ પણ લાપતા છે.
તપાસના આદેશ અને રેસ્ક્યુ ઓપરેશન
આગ્રા રેન્જના ડીઆઈજી શૈલેષ કુમાર પાંડેએ જણાવ્યું કે, વહીવટીતંત્ર દ્વારા આ અકસ્માતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. એનડીઆરએફ અને સ્થાનિક ગોતાખોરોની ટીમ લાપતા પાંચ લોકોની શોધમાં યમુનાના પ્રવાહમાં સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ ઘટનાએ નદીમાં ચાલતી બોટની સુરક્ષા અને ક્ષમતા પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.
