ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
12 જુન 2020
લોન મોરેટોરિયમનો કેસ હવે દેશની વડી અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. આજે કેસમાં સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટે આરબીઆઈ અને નાણાં મંત્રાલય પાસે જવાબ માંગ્યો છે. સાથે જ બંનેને ત્રણ દિવસની અંદર સંયુક્ત બેઠક કરીને વ્યાજ માટે નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધુ છે કે તે વ્યાજ માફ કરવાની વાત નથી કરી રહ્યા, કોર્ટને માત્ર વધુ વ્યાજ લેવા પર વાંધો છે. હકીકતમાં આરબીઆઈએ લોન મોરેટોરિયમનો સમય 31 ઓગસ્ટ સુધી વધારી દીધો હતો પરંતુ હજુ આ કેસમાં ઘણા બધા સવાલ ગ્રાહકોના મનમાં છે જેના માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી હતી. જેના પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યુ હતું કે અમારી ચિંતા માત્ર એટલી છે કે શું સ્થગિત કરવામાં આવેલ વ્યાજને બાદમાં મૂળ રકમ સાથે ઉમેરવામાં આવશે. સાથે જ સુપ્રીમ કોર્ટે આરબીઆઈને સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે તે વ્યાજને માફ કરવા માટે નથી કહી રહ્યા, તે માત્ર તેને ટાળવાની વાત કહી રહ્યા છે. કોર્ટના જણાવ્યા મુજબ અત્યારે જે ઈએમઆઈમાં છૂટ બેંકોએ આપી છે બાદમાં તેના પર વધુ વ્યાજ ન લેવુ જોઈએ. આના પર સરકાર તરફથી હાજર સૉલિસિટર જનરલે કહ્યુ કે આ કેસમાં આરબીઆઈ અને નાણા મંત્રાલયના અધિકારી આ સપ્તાહે બેઠક કરવાના છે. જેના પર સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે ત્રણ દિવસની અંદર આરબીઆઈ નાણાં મંત્રાલય સાથે બેઠક કરે અને આ બાબતનો નિષ્કર્ષ કાઢે. કેસની આગામી સુનાવણી 17 જૂને થશે….