News Continuous Bureau | Mumbai
IPL 2026। ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ની રોમાંચક ફાઈનલ મેચમાં રવિવારે મળેલી હાર બાદ ગુજરાત ટાઈટન્સ (GT) ના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સાથે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. ફાઈનલ મેચ સમાપ્ત થયા બાદ ખેલાડીઓને લઈને હોટેલ પરત ફરી રહેલી ટીમ બસમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે વાહન અધવચ્ચે જ ખોરવાઈ ગયું હતું. બસની અંદર ધુમાડો ફેલાઈ જતાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ ખેલાડીઓ અને સ્ટાફને તાત્કાલિક અધવચ્ચે જ રસ્તા પર સુરક્ષિત બહાર ઉતારવા પડ્યા હતા, જેને પગલે ઘટનાસ્થળે થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી.
બસમાં ટેકનિકલ ખામી સર્જાતા અંદર ફેલાયો ધુમાડો
એક મીડિયા હાઉસ ના સત્તાવાર અહેવાલ અનુસાર, ગુજરાત ટાઈટન્સની ટીમ બસ સ્ટેડિયમથી નીકળીને હોટેલ તરફ જઈ રહી હતી ત્યારે જ તેમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને એન્જિનના ભાગમાંથી વાયરિંગ બળવાના લીધે બસની અંદર જોતજોતામાં કાળો ધુમાડો ફેલાવા લાગ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને જોઈને ટીમ મેનેજમેન્ટ, સ્થાનિક પોલીસ અને સુરક્ષાકર્મીઓએ સમયસૂચકતા વાપરીને તમામ ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફને સુરક્ષિત રીતે બસમાંથી બહાર કાઢ્યા હતા. સૌથી મોટી રાહતની વાત એ રહી કે આ સમગ્ર ઘટનામાં કોઈ પણ ભારતીય કે વિદેશી ખેલાડી અથવા સ્ટાફ મેમ્બરને કોઈ ઈજા થઈ નથી કે કોઈ જાનહાનિ થઈ નથી.
બીજી બસની કરાઈ વ્યવસ્થા
આ અણધારી ઘટના બાદ ગુજરાત ટાઈટન્સના સ્ટાર ખેલાડીઓ અને મેનેજમેન્ટના સભ્યોને અમદાવાદના રસ્તાના કિનારે ઉભા રહીને થોડો સમય રાહ જોવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક અને સ્થાનિક પ્રશાસને તુરંત જ બીજી લક્ઝરી બસની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી હતી. આ નવી બસ દ્વારા રાત્રે જ તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને સુખરૂપ તેમની નિયત હોટેલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલી બસને પાછળથી ક્રેનની મદદથી હટાવીને તપાસ માટે મોકલી દેવાઈ હતી.
ફાઈનલમાં આરસીબી (RCB) સામે ૫ વિકેટે હાર અને ફ્લાઇટ ડિલે બાદ ટીમ માટે અત્યંત થકવી નાખનારો દિવસ
ગુજરાત ટાઈટન્સ માટે રવિવારનો આખો દિવસ આઈપીએલ અભિયાનના અંત તરીકે અત્યંત નિરાશાજનક અને થકવી નાખનારો સાબિત થયો હતો. રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં ચેઝ માસ્ટર વિરાટ કોહલીના તોફાન સામે ગુજરાતનો સ્કોર ટૂંકો પડ્યો હતો અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે ૫ વિકેટે હાર થતાં ગુજરાતનું સતત બીજી વાર ટાઈટલ જીતવાનું સપનું તૂટી ગયું હતું. આ ફાઈનલ મેચ પહેલા પણ ટીમનું શિડ્યુલ બહુ વ્યસ્ત રહ્યું હતું; ૨૭ મેના રોજ ધર્મશાલાથી મુલ્લાંપુરની સફર અને ૨૯ મેના રોજ રાજસ્થાન રોયલ્સ સામે ક્વાલિફાયર-૨ રમ્યા બાદ, મુલ્લાંપુરમાં ખરાબ હવામાનને કારણે ટીમની અમદાવાદની ફ્લાઇટ કલાકો સુધી ડિલે (મોડી) થઈ હતી, જેના કારણે ટીમ શનિવારે મોડી રાત્રે જ અમદાવાદ પહોંચી શકી હતી. આ તમામ માનસિક અને શારીરિક થાક વચ્ચે બસ અકસ્માતે ગુજરાત ટાઈટન્સની મુશ્કેલીઓમાં વધારો કર્યો હતો, પરંતુ સદનસીબે ખેલાડીઓનો આબાદ બચાવ થયો છે.
👉 આ સમાચાર વાચો:
Commercial LPG Cylinder Price Hike। મોંઘવારીનો વધુ એક ડામ કમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઝીંકાયો અધધ વધારો, જાણો આજથી તમારા શહેરમાં નવો ભાવ!