News Continuous Bureau | Mumbai
IPL Transfer Buzz| ભારતીય ક્રિકેટ ટીમના ટી૨0 ફોર્મેટના કેપ્ટન પદ પરથી હટાવવામાં આવ્યા બાદ સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને લઈને ક્રિકેટ જગતમાં એક બહુ મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. રમતગમતના અહેવાલો મુજબ, સૂર્યકુમાર યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોતાની વર્તમાન આઈપીએલ (IPL) ટીમ મુંબઈ ઈન્ડિયન્સને સત્તાવાર રીતે અનફોલો કરી દીધું છે. એટલું જ નહીં, તેના ઓફિશિયલ એકાઉન્ટ પરથી મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે જોડાયેલી તમામ જૂની પોસ્ટ અને ફોટા પણ ગાયબ થઈ ગયા છે, જેને સૂર્યાની મુંબઈ ટીમમાંથી કાયમી વિદાયનો સૌથી મોટો ડિજિટલ પુરાવો માનવામાં આવી રહ્યો છે.
ટીમ ઈન્ડિયામાંથી ડ્રોપ થયા બાદ આઈપીએલમાં પણ લાગશે ઝટકો
તાજેતરમાં જ સૂર્યકુમાર યાદવને ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ સામેની આગામી ટી૨૦ શ્રેણી માટે ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી, જેના લીધે તેની કપ્તાની પણ છીનવાઈ ગઈ છે. આ આંતરરાષ્ટ્રીય આંચકા બાદ હવે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL 2026) પણ મુંબઈ ઈન્ડિયન્સ સાથે તેનો લાંબો સંબંધ તૂટવો લગભગ નક્કી મનાઈ રહ્યો છે. ગત આઈપીએલ સીઝનમાં મુંબઈ માટે સૂર્યાનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું, જેના કારણે મેનેજમેન્ટ અને તેની વચ્ચે અણબનાવની ચર્ચાઓ વહેતી થઈ હતી. જો કે, એક રસપ્રદ વાત એ છે કે સૂર્યાની પત્ની દેવિશા શેટ્ટી હજી પણ ઈન્સ્ટાગ્રામ પર મુંબઈ ઈન્ડિયન્સના સત્તાવાર પેજને ફોલો કરી રહી છે.
૧૬.૨૫ કરોડમાં થયો હતો રીટેન, હવે જૂની ટીમ કેકેઆર (KKR) કે સીએસકે (CSK) માં થઈ શકે છે વાપસી
આઈપીએલ ૨૦૨૬ ના મેગા ઓક્શન અને રીટેન્શન પ્રક્રિયા દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સે સૂર્યકુમાર યાદવને અધધ ૧૬.૨૫ કરોડ રૂપિયાની મોટી કિંમતે ટીમમાં રીટેન કર્યો હતો. તે વર્ષ ૨૦૧૮ થી સતત મુંબઈ માટે રમી રહ્યો છે. ક્રિકેટ કોરિડોરમાં ચાલી રહેલા અહેવાલો દાવો કરે છે કે જો સૂર્યા મુંબઈ ઇન્ડિયન્સ છોડશે, તો તેની જૂની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સમાં (KKR) તેની ધમાકેદાર વાપસી થઈ શકે છે. કેકેઆરની ટીમને હાલમાં આગામી સીઝન માટે એક મજબૂત ભારતીય કેપ્ટન અને ટોપ ઓર્ડરના આક્રમક બેટ્સમેનની તલાશ છે. કેકેઆર ઉપરાંત મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) પણ સૂર્યાને પોતાની ટીમમાં સામેલ કરવા માટે મોટો દાવ રમી શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સ માટે સૂર્યાનું પ્રદર્શન: ૧૨૭ મેચમાં ફટકાર્યા છે ૪,000 થી વધુ રન
જો આઈપીએલના ઈતિહાસ પર નજર કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સ માટે સૂર્યકુમાર યાદવનું ઓવરઓલ પ્રદર્શન અત્યંત શાનદાર અને મેચ વિનિંગ રહ્યું છે. સૂર્યાએ વર્ષ ૨૦૧૧ માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે જ પોતાની આઈપીએલ કરિયરની શરૂઆત કરી હતી, પરંતુ તે સીઝનમાં તેને માત્ર ૧ મેચ રમવાની તક મળી હતી. ત્યારબાદ તે કેકેઆરમાં ગયો હતો અને ત્યાં ૬૦ મેચોમાં ૬૮૪ રન બનાવ્યા બાદ વર્ષ ૨૦૧૮ માં ફરીથી મુંબઈની ટીમમાં પાછો ફર્યો હતો. સૂર્યાએ મુંબઈ ઈન્ડિયન્સ માટે અત્યાર સુધીમાં કુલ ૧૨૭ મેચો રમી છે, જેમાં તેણે ૪,૦૨૦ રન બનાવ્યા છે, જેમાં બે શાનદાર સદી અને અનેક અડધી સદીઓ સામેલ છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઈઝી કે સૂર્યા પોતે આ વિવાદ અને સોશિયલ મીડિયા અનફોલો મુદ્દે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરે છે કે નહીં.
👉 આ સમાચાર વાચો:
Donald Trump Walks Out| ટ્રમ્પે માઇક ફેંકી અધવચ્ચે છોડ્યો ઇન્ટરવ્યુ મહિલા પત્રકારને કહ્યું ‘ખૂબ થઈ ગયું, થેંકક્યુ ડાર્લિંગ’ અને ચાલતી પકડી