News Continuous Bureau | Mumbai
ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને (IND vs NZ) હરાવીને ૨૦૨૬ T20 વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચી દીધો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ ફાઈનલ મેચમાં ભારતે ૯૬ રને ભવ્ય વિજય મેળવીને ત્રીજી વખત ટ્રોફી પર કબજો કર્યો છે. જોકે, આ ઐતિહાસિક વિજય બાદ પણ ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર અર્શદીપ સિંહ વિવાદોમાં ઘેરાયો છે. મેચ દરમિયાન કિવી બેટ્સમેન ડેરિલ મિશેલ સાથે થયેલી ઉગ્ર બોલાચાલી અને આક્રમક વર્તન બદલ આઈસીસી તેની સામે શિસ્તભંગના પગલાં લઈ શકે છે.ઘટના મુજબ, અર્શદીપ સિંહની બીજી ઓવર દરમિયાન તેણે ન્યુઝીલેન્ડના બેટ્સમેન ડેરિલ મિશેલ તરફ અત્યંત આક્રમક રીતે બોલ ફેંક્યો હતો. આ બોલ સીધો મિશેલના ખભા પર વાગ્યો હતો, જેના કારણે મેદાન પર વાતાવરણ તણાવપૂર્ણ બની ગયું હતું. મિશેલ આ ઘટનાથી ઘણો નારાજ થયો હતો અને તેણે તરત જ અમ્પાયર પાસે ફરિયાદ કરી હતી. પરિસ્થિતિને થાળે પાડવા માટે કેપ્ટન સૂર્યકુમાર યાદવે મધ્યસ્થી કરવી પડી હતી.
ICC ની આચારસંહિતાનું ઉલ્લંઘન?
આઈસીસી (ICC) ની આચારસંહિતાની કલમ ૨.૯ હેઠળ અર્શદીપ સિંહ પર કાર્યવાહી થઈ શકે છે. આ કલમ મુજબ, કોઈ પણ ખેલાડી કે અન્ય વ્યક્તિ તરફ જોખમી રીતે બોલ અથવા અન્ય સાધન ફેંકવું એ રમતની ભાવનાની વિરુદ્ધ માનવામાં આવે છે. આ પ્રકારના કિસ્સા લેવલ-૧ હેઠળ આવે છે, જેમાં ખેલાડીને તેની મેચ ફીના ૫૦% સુધીનો દંડ અને ખાતામાં એક અથવા બે ડિમેરિટ પોઈન્ટ્સ (Demerit Points) ઉમેરવાની જોગવાઈ છે.
આ સમાચાર પણ વાંચો : Weather Update: માર્ચની શરૂઆતમાં જ સૂર્યદેવના આકરા તેવર! હિમાચલમાં ‘લૂ’ ની ચેતવણી, ગુજરાત અને રાજસ્થાનમાં કાળઝાળ ગરમી વચ્ચે ગરમ પવનો ફૂંકાશે
અર્શદીપે માંગી માફી, છતાં તપાસ ચાલુ
જોકે, રમત પૂરી થયા બાદ અર્શદીપ સિંહે રમતની ખેલદિલી બતાવીને ડેરિલ મિશેલ પાસે માફી માંગી હતી અને મામલો થાળે પાડ્યો હતો. મિશેલે પણ તેની માફી સ્વીકારી લીધી હતી. પરંતુ આઈસીસીના નિયમો મુજબ, મેદાન પર થયેલી ઘટનાની સત્તાવાર સમીક્ષા કરવામાં આવે છે. જો આઈસીસીને લાગશે કે આ ઉલ્લંઘન ગંભીર હતું, તો માફી માંગવા છતાં અર્શદીપને સજા થઈ શકે છે. ગત વર્ષે વેસ્ટ ઈન્ડિઝના જયડન સીલ્સ સામે પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી હતી.
ભારત ઘરઆંગણે ચેમ્પિયન બનનારી પ્રથમ ટીમ
આ વિવાદ વચ્ચે ભારતીય ચાહકો માટે ખુશીના સમાચાર એ છે કે ટીમ ઈન્ડિયા ઘરઆંગણે T20 વર્લ્ડ કપ જીતનારી વિશ્વની પ્રથમ ટીમ બની છે. ૨૦૦૭ અને ૨૦૨૪ બાદ આ ભારતનું ત્રીજું વર્લ્ડ કપ ટાઈટલ છે. સતત બે વાર આ ટુર્નામેન્ટ જીતીને ભારતે ક્રિકેટ જગતમાં પોતાનો દબદબો કાયમ રાખ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આઈસીસી અર્શદીપ સિંહના મામલે શું નિર્ણય લે છે.