ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
12 નવેમ્બર 2020
રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીને બુધવારે સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા હતા. અંતરિમ જામીન અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે ઉદ્ધવ સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે જો રાજ્ય સરકાર કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરે છે તો તેઓ સમજી લે કે અમે તે લોકોની સુરક્ષા કરીશું. સાથે સર્વોચ્ચ અદાલતે વિચારધારા અને મંતવ્યના મતભેદોના આધારે લોકોને લક્ષ્યાંક બનાવવામાં રાજ્ય સરકારોના વલણ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.
આપને જણાવી દઈએ કે અરજીકર્તાઓને 50,000 રૂપિયાના વ્યક્તિગત બૉન્ડ પર અંતરિમ જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.
જામીન મળ્યા બાદ અર્નબ ગોસ્વામીએ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "ઉદ્ધવ ઠાકરે, સાંભળી લો, તમે હારી ગયા. ઉદ્ધવ ઠાકરે તમે મારી એક જૂના, ખોટા કેસમાં ધરપકડ કરી અને મારી માફી પણ ન માગી. ખેલ હવે શરૂ થાય છે." આગળ તેમણે કહ્યું હતું કે, "હું જેલની અંદરથી પણ ચેનલ શરૂ કરીશ અને તઓ (ઠાકરે) કંઈ કરી શકશે નહીં." વધુમાં તેમણે કહ્યું કે તેઓ હવે દરેક ભાષામાં રિપલ્બિક ટીવી શરૂ કરશે અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ તેમની ઉપસ્થિતિ છે.
દરમિયાન પત્રકાર અર્નબ ગોસ્વામીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ડિબેટ કરવા માટે પડકાર ફેંકતા કહ્યું હતું કે, ‘જો ઉદ્ધવ ઠાકરેને મારી પત્રકારત્વમાં કોઈ સમસ્યા છે, તો તેમણે મને ઇન્ટરવ્યૂ આપવો જોઇએ. હું તેમને પડકાર ફેંકું છું કે તેઓ મારી સાથે તમામ મુદ્દે ચર્ચા કરે જેમાં હું તેમની સાથે સહમત નથી થતો.’
શું છે સમગ્ર મામલો
હકીકતમાં, અર્ણબ ગોસ્વામી ઉપર 2018 ની સાલમાં ઈન્ટીરીઅર ડિઝાઈનર તથા તેની માતાને આત્મહત્યા કરવા મજબુર કર્યાનો આરોપ હતો.જે કેસ 2019 ની સાલમાં બંધ કરી દેવાયેલો જાહેર કરાયો હતો. તે અંગે ફરીથી 2020 ની સાલમાં ફરિયાદ કરાતા અર્ણબ ગોસ્વામી તથા તેના બે સાથીદારોની ધરપકડ કરાઈ હતી. તથા 4 નવેમ્બરના રોજ તેઓને 14 દિવસ માટે હિરાસતમાં લેવાયા હતા. જેની સામે નીચલી કોર્ટે જામીન નામંજુર કરતા મુંબઈ હાઇકોર્ટમાં પિટિશન કરાઈ હતી. તે દરમિયાન ગોસ્વામીએ 9 નવેમ્બરના રોજ મુંબઈ હાઇકોર્ટે વચગાળાના જામીન આપવાનો ઇન્કાર કરતા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
