ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
19 નવેમ્બર 2020
બોલિવૂડ ખિલાડી અભિનેતા અક્ષય કુમારે હાલમાં જ બિહારના એક યૂટ્યૂબર પર 500 કરોડનો માનહાનિનો કેસ કર્યો છે. યૂટ્યૂબર પર આરોપ છે કે, તેણે 'FF News' નામની યૂટ્યૂબ ચેનલ પર મુંબઈ પોલીસ, આદિત્ય ઠાકરે અને અક્ષય કુમાર વિરુદ્ધ ખોટી માહિતી અને અપમાનજનક વીડિયો પોસ્ટ કર્યા હતા. એટલું જ નહીં યૂટ્યૂબરે સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ તેના વિશેની ખોટી જાણકારી આપતા વીડિયો અપલોડ કર્યા હતા, જેનાથી તેને 15 લાખ રૂપિયાની કમાણી કરી હતી હતી. હવે આ મામલો સામે આવતા મુંબઈ પોલીસે યૂટ્યૂબર સામે કેસ કર્યો હતો. જોકે, બાદમાં તેને એ શરતે જામીન મળ્યા હતા કે તે તપાસમાં પોલીસને સહકાર આપશે.
આ યુટ્યુબર બિહારનો રહેવાસી છે અને વ્યવસાયે સિવિલ એન્જિનિયર છે. યુટ્યુબર એફએફ ન્યૂઝ નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે, જેના પર તેણે મુંબઈ પોલીસ, આદિત્ય ઠાકરે અને અક્ષય કુમાર વિરુદ્ધ કેટલાક અપમાનજનક વીડિયો અપલોડ કર્યા હતા. કેસ સપાટી પર આવ્યા બાદ શિવસેનાના લીગલ સેલના વકીલ ધર્મેન્દ્ર મિશ્રાએ યુટ્યુબર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જે બાદ મુંબઈ પોલીસે યુટ્યુબર સામે માનહાનિ, જાહેરમાં બદનામ કરવા અને ઇરાદાપૂર્વક કોઈનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ વિશે વાત કરતા વરિષ્ઠ આઈપીએસ અધિકારીએ જણાવ્યું હતું કે, "અભિનેતા સુશાંતનું મૃત્યુ લોકો માટે પૈસાનો સ્ત્રોત બની ગયું કારણ કે લોકોને આ કેસમાં ખુબ રસ હતો. એક વાર મીડિયાએ આ કિસ્સામાં જુદી જુદી વાર્તાઓ બતાવવાનું શરૂ કર્યું ત્યારે યુટ્યુબર્સને પણ ફેક કન્ટેન્ટ મૂકવાની તક મળી. તેમણે મુંબઈ પોલીસની છબી બગાડી અને પૈસા કમાયા હતા.
અક્ષય કુમારે નોટિસ કેમ મોકલી:
યુટ્યુબર એ પોતાની યુટ્યુબ ચેનલ પર અક્ષય કુમાર વિરુદ્ધ એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે ખોટી માહિતી આપી હતી કે અક્ષય કુમાર, સુશાંત ‘એમએસ ધોની’ની ફિલ્મ મળવાથી નાખુશ છે. એટલું જ નહીં, સુશાંતના મૃત્યુના કિસ્સામાં અક્ષયે આદિત્ય સાથે ગુપ્ત મુલાકાત કરી હતી અને રિયાને કેનેડા મોકલવામાં મદદ કરી હતી.
