ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
07 ડિસેમ્બર 2020
થોડા દિવસોથી સમાચાર હતા કે ફિલ્મ અભિનેતા દિલીપકુમાર ની તબિયત વધુ પડતી ખરાબ થઈ છે. દરેક મુસીબતમાં તેમની પડખે ઊભી રહેતી તેમની પત્ની સાયરા બાનુએ દિલીપકુમારનું હેલ્થ અપડેટ જાહેર કર્યું છે. જેમાં જણાવ્યું છે કે "દિલીપકુમાર હાલ નબળા પડી ગયાં છે અને તેમની ઇમ્યુનિટી પણ ઓછી થઈ છે. તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો, અમે પ્રતિદિન ભગવાનનો આભાર માનીએ છીએ" એમ તેમણે કહ્યું હતું. નોંધનીય છે કે દિલીપકુમારની આ સપ્તાહમાં 11 ડિસેમ્બરે વર્ષગાંઠ છે.
ગત 11 ઓક્ટોબરે બંનેના લગ્નની વર્ષગાંઠ હતી, પણ આ વખતે બંનેએ એ ખાસ દિવસ ઉજવ્યો નથી, કેમ કે આ વર્ષે દિલીપકુમારના બે ભાઈઓનાં નિધન થયાં હતાં. સાયરા બાનુએ સોશિયલ મિડિયા પર લખ્યું હતું કે , 11 ઓક્ટોબર હંમેશાં મારા જીવનનો સૌથી ખૂબસૂરત દિવસ રહ્યો છે. આ દિવસે દિલીપકુમાર સાહેબે મારી સાથે લગ્ન કરીને મારું સ્વપ્ન પૂરું કર્યું હતું. બધા જાણે છે અમે બે ભાઈ- એહસાનભાઈ અને અસલમભાઈને ગુમાવી દીધા છે. કોવિડ-19થી અનેક લોકોનાં મોત થયાં છે. અમે મિત્રો, પરિવારના સભ્યોને વિનંતી કરીએ છીએ કે હાલના માહોલમાં સૌ એકબીજા માટે પ્રાર્થના કરે. ભગવાન બધાને સુરક્ષિત રાખે, એમ તેમણે કહ્યું હતું.