News Continuous Bureau | Mumbai
Office Office Doordarshan| ભારતીય ટેલિવિઝનના ઇતિહાસમાં ખૂબ જ ઓછા એવા શો છે જેના પાત્રો દર્શકોના જીવનનો એક ભાગ બની ગયા હોય. ‘ઓફિસ ઓફિસ’ સીરિયલ તેમાંથી જ એક કલ્ટ ક્લાસિક શો હતો. આ સીરિયલમાં પંકજ કપૂર, મનોજ પાહવા, હેમંત પાંડે અને સંજય મિશ્રા જેવા દિગ્ગજો માત્ર કોમેડી નહોતા કરતા, પરંતુ સરકારી તંત્ર અને ભ્રષ્ટાચારની અસલી સચ્ચાઈ બતાવતા હતા. હવે આશરે બે દાયકા પછી આ પ્રખ્યાત સીરિયલ એક તદ્દન નવા અંદાજમાં ટેલિવિઝન પર વાપસી કરી રહી છે. આ નવા શોનું નામ ‘ઓફિસ ઓફિસ ચલી મુસદ્દી કી બેટી’ રાખવામાં આવ્યું છે, જેનું પ્રસારણ દૂરદર્શન પર શરૂ થયું છે. આ નવા સંસ્કરણમાં શું ખાસ છે, તે અંગે ડાયરેક્ટર ઉમેશ મહેરાએ કેટલીક મહત્વની વાતો શેર કરી છે.
પંકજ કપૂર સહિતના જૂના કલાકારો હવે સુપરસ્ટાર, ટીવી ચેનલો માટે એફોર્ડ કરવા મુશ્કેલ
મીડિયા સાથેની ખાસ વાતચીતમાં ડાયરેક્ટર ઉમેશ મહેરાએ ખુલાસો કર્યો છે કે, આશરે અઢી વર્ષ પહેલાં તેમને દૂરદર્શન તરફથી એક નવો શો બનાવવા માટે બોલાવવામાં આવ્યા હતા. ચર્ચા દરમિયાન ચેનલે જ ‘ઓફિસ ઓફિસ’ ને ફરી શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ઉમેશ મહેરાએ જણાવ્યું કે, “જૂની સીરિયલને તે જ કલાકારો સાથે ફરીથી બનાવવી હવે લગભગ અશક્ય છે. આજે તે સમયના તમામ કલાકારો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા સુપરસ્ટાર બની ચૂક્યા છે અને કોઈ પણ ટીવી ચેનલ તેમને એફોર્ડ કરી શકે તેમ નથી. માત્ર કલાકારો જ નહીં, પરંતુ વર્તમાન સમય અને યુગ પણ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.”
મુસદ્દીલાલની દીકરી હવે લાચાર નહીં બને, રીલ્સ અને સોશિયલ મીડિયાથી સિસ્ટમ સામે લડશે
ડાયરેક્ટરે વાર્તામાં કરેલા મુખ્ય ફેરફાર અંગે વાત કરતા કહ્યું કે, જૂની સીરિયલમાં મુસદ્દીલાલ એક સામાન્ય માણસ (કોમન મેન) હતો જે સરકારી ઓફિસોના ચક્કર કાપીને સિસ્ટમમાં પીસાઈ જતો અને છેલ્લે હારી જતો હતો. પરંતુ આજની જનરેશન અને આજની છોકરીઓ તદ્દન અલગ છે. આ નવી સીરિયલમાં મુસદ્દીલાલની દીકરી શરૂઆતમાં સરકારી તંત્ર સામે હારશે જરૂર, પણ પછી પોતાની સ્માર્ટનેસથી બાજી પલટી નાખશે. આજની પેઢી અન્યાય સામે સવાલો પૂછે છે, લડે છે અને મોબાઈલથી વીડિયો શૂટ કરે છે. જો આજે કોઈનું કામ સરકારી ઓફિસમાં ન થાય, તો તે તરત જ સોશિયલ મીડિયા પર રીલ (Reel) બનાવીને વાયરલ કરી દે છે, જેનાથી આખું તંત્ર હરકતમાં આવી જાય છે. આ શોમાં આ જ આધુનિક દુનિયાને પકડવાનો પ્રયાસ કરાયો છે.
નોસ્ટાલ્જીયા કે કેમિયોના સહારા વિના નવો કન્ટેન્ટ પોતાના દમ પર લાવશે હિટ રેટિંગ્સ
આજકાલ જૂના સુપરહિટ શોની સિક્વલ કે રિબૂટમાં જૂના કલાકારોના કેમિયો (ખાસ હાજરી) કરાવીને પ્રમોશન કરવાનો મોટો ટ્રેન્ડ છે, પરંતુ ઉમેશ મહેરા આ રસ્તા પર જવા માંગતા નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે જો તેઓ જૂના એક્ટર્સનો સહારો લેશે તો તેનો અર્થ એ થશે કે તેમને પોતાના નવા કન્ટેન્ટ અને સ્ક્રિપ્ટ પર ભરોસો નથી. આ નવો શો પોતાના દમ પર ઊભો રહેવો જોઈએ. આજકાલ મોબાઈલના જમાનામાં લોકોનો અટેન્શન સ્પેન ખૂબ ટૂંકો થઈ ગયો છે, તેથી દરેક પાત્રને ૨-૩ મિનિટની એવી જોરદાર મોમેન્ટ આપવામાં આવી છે જે સોશિયલ મીડિયા પર અલગથી પણ વાયરલ થઈ શકે. હોર્ડિંગ્સ અને અખબારોના બદલે હવે આ સીરિયલનું સંપૂર્ણ પ્રમોશન ડિજિટલ મીડિયા દ્વારા જ કરવામાં આવી રહ્યું છે.
👉 આ સમાચાર વાચો:
Anupama। ‘અનુપમા’ શો બંધ કરાવવા પર અડ્યા ફેન્સ? પ્રોડ્યુસર રાજન શાહીની એક ભૂલથી ટીઆરપી ધડાધડ ગગડી, આ રહ્યું કારણ
