News Continuous Bureau | Mumbai
Ranveer Singh Sadhguru Video Viral । બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ હાલમાં પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ડોન ૩’ છોડવાને કારણે મીડિયા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભારે વિવાદોમાં ઘેરાયેલા છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) દ્વારા લેવામાં આવેલા કડક પગલાં વચ્ચે રણવીર સિંહ આધ્યાત્મિક ગુરુ સદગુરુ ના શરણમાં પહોંચ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં રણવીર સિંહ સદગુરુને જીવનના ઉદ્દેશ્ય અંગે પ્રશ્ન પૂછતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સંસ્થાએ રણવીર પર લાગેલા કથિત પ્રતિબંધ (બૅન) અંગે એક મોટું સ્પષ્ટીકરણ જારી કર્યું છે.
રણવીર પર સત્તાવાર ‘પ્રતિબંધ’ નથી પરંતુ ‘અસહકારનો આદેશ’; અશોક પંડિતે આપી માહિતી
હિન્દી ન્યૂઝ પોર્ટલના અહેવાલ અનુસાર, એફડબ્લ્યુઆઈસીઈ (FWICE) ના મુખ્ય સલાહકાર અને જાણીતા ફિલ્મમેકર અશોક પંડિતે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કરી છે કે રણવીર સિંહ પર સત્તાવાર રીતે કોઈ ‘બૅન’ લાદવામાં આવ્યો નથી. વાસ્તવમાં, ‘ડોન ૩’ ના શૂટિંગના થોડા અઠવાડિયા પહેલા રણવીરના પ્રોજેક્ટમાંથી બહાર થવાને કારણે ડિરેક્ટર ફરહાન અખ્તરના પ્રી-પ્રોડક્શન ને ૪૫ કરોડનું નુકસાન થયું છે. આ મામલાની સુનાવણી માટે સંસ્થાએ રણવીરને ત્રણ વખત બોલાવ્યા હતા પરંતુ તેઓ હાજર ન થતાં, સભ્યો (ડિરેક્ટર્સ, કેમેરામેન અને ક્રૂ) ને જ્યાં સુધી વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી રણવીર સાથે કામ ન કરવાનો ‘નૉન-કોઓપરેશન ડાયરેક્ટિવ’ (અસહકારનો આદેશ) જારી કરાયો છે.
રણવીરે સદગુરુ ને પૂછ્યું- ‘જીવનનો હેતુ શું છે?’; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
આ તમામ કાનૂની અને વ્યાપારી વિવાદો વચ્ચે રણવીર સિંહ અને સદ્ગુરુની મુલાકાતનો એક ખાસ વીડિયો સદગુરુ ના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે, જેમાં રણવીર ખૂબ જ શાંત અને ઊંડા વિચારોમાં ડૂબેલો દેખાય છે. વીડિયોમાં રણવીર કહે છે કે, “ગઈકાલે મેં ટ્વિટ કરીને ચાહકોને પૂછ્યું હતું કે મારે સદગુરુ જીને શું પૂછવું જોઈએ? તેમાંથી ૮૦ ટકા લોકોએ એક જ પ્રશ્ન પૂછ્યો કે- જીવનનો સાચો ઉદ્દેશ્ય (હેતુ) શું છે?” આ ગંભીર સવાલ સાંભળીને સદ્ગુરુએ ઘણો જ તાર્કિક અને સીધો જવાબ આપ્યો હતો.
“જીવનનો કોઈ ઉદ્દેશ્ય નથી, તે તમારી બુદ્ધિથી ઘણું મોટું છે”
સદગુરુ એ રણવીર સિંહને આધ્યાત્મિક સમજ આપતા કહ્યું કે, “જ્યારે તમે પૂછો છો કે જીવનનો ઉદ્દેશ્ય શું છે, ત્યારે વાસ્તવમાં તમે પૂછી રહ્યા છો કે જીવનનો શો ઉપયોગ છે? જીવનનો આવો કોઈ ચોક્કસ ઉદ્દેશ્ય નથી. જીવન તમારી અને આપણી બુદ્ધિ કરતાં ઘણું મોટું છે. તમે કે હું આ દુનિયામાં ન હોત, તો પણ આ જીવન હોત જ.” આ દરમિયાન, સિનિયર અભિનેત્રી પૂનમ ધિલ્લોને આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે રણવીર સિંહ ઈચ્છતા તો આ મુદ્દાને શાંતિથી ઉકેલી શકતા હતા. તેઓ કલાકારોની સંસ્થા સિંટા (CINTAA) ના સભ્ય હોવાથી, તેમણે અમારો સંપર્ક કરવો જોઈતો હતો જેથી અમે એક્ટર અને ફિલ્મમેકર વચ્ચે મધ્યસ્થી કરીને ૪૫ કરોડનો વિવાદ વધુ સારી રીતે ઉકેલી શક્યા હોત.
👉 આ સમાચાર વાચો:
Don 3 Recasting Rumors। રણવીર સિંહ બાદ ‘ડોન ૩’ ની રેસમાં જોડાયા બોલિવૂડના આ ૨ સુપરસ્ટાર્સ, ફેન્સમાં ભારે ઉત્સુકતા
