ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 સપ્ટેમ્બર 2020
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ એક પ્રખ્યાત ટીવી શો છે. આ શૉના દરેક પાત્રને ખુબ જ પસંદ કરવામાં આવે છે. 12 વર્ષથી પણ વધારે સમયથી આ કોમેડી શૉ લોકોનુ મનોરંજન કરી રહ્યું છે. શૉમાં ચંપક ચાચા, જેઠાલાલ, તારક તો પોપ્યુલર છે જ પણ સાથે અન્ય કલાકારોને પણ લોકો ખુબ પસંદ કરે છે. જોકે, શોના કેટલાક સ્ટાર્સ એવા પણ છે જેમણે શો કાયમના માટે છોડી દીધો છે, તેઓ કદી પાછા ફરશે નહીં, ઉલ્લેખનીય છે કે, કેટલાક કલાકારો છે જે શરૂઆતથી જ આ શો સાથે સંકળાયેલા હતા, પરંતુ હવે કેટલાક સ્ટાર્સ આ શો છોડી દીધો છે અને તેમની જગ્યાએ અન્ય કલાકારો આવ્યા છે. તાજેતરમાં જ શોમાં અંજલિ મહેતાની ભૂમિકા ભજવનારી નેહા મહેતાએ શો છોડી દીધો હતો અને તેની જગ્યા સુનૈના ફોજદાર લીધી છે. તો બીજી તરફ શોમાં રોશનસિંહ સોઢીની ભૂમિકા ભજવનાર ગુરુચરણસિંહે પણ પોતાના અંગત કારણો જણાવીને શો છોડી દીધો છે. જો કે, તેની જગ્યાએ, હવે શો મેકર્સે બલવિંદર સિંહને જગ્યા આપી છે.
આ શોમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પાત્ર ભજવનાર દિશા વકાણી, જેણે દયાબેનનું પાત્ર ભજવ્યું હતું. તે 2017 માં મેન્ટર્નીટી લિવ પર ગઈ હતી અને ત્યાર પછી તે શોમાં પરત ફરી નથી. ફક્ત પ્રેક્ષકો જ નહીં પરંતુ શોના નિર્માતાઓએ પણ દિશાને શોમાં પાછા બોલાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હવે લાગે છે કે દિશા વકાણી શોમાં પાછા ફરવાના મૂડમાં નથી. તો બીજી તરફ શોમાં બાઘાની મંગેતરનું પાત્ર ભજવનારી અભિનેત્રી મોનિકા ભાદોરીયાએ મેકર્સ સાથે કેટલાક મતભેદ થયા બાદ તેણે શો છોડી દીધો હતો. તે આ શો સાથે છ વર્ષ સુધી સંકળાયેલી હતી, તેથી ચાહકો હજી પણ મોનિકા ભાદોરિયોને બાવરી તરીકે ઓળખે છે. શોમાં રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવનારી પ્રિયા આહુજાએ પણ પોતાના અંગત કારણોસર શો છોડી દીધો હતો. આ પછી, મિહિકા વર્મા રીટા રિપોર્ટરની ભૂમિકા નિભાવી રહી છે.
ડો. હંસરાજ હાથીની ભૂમિકા ભજવનારા કવિ કુમાર આઝાદને કોઈ કેવી રીતે ભૂલી શકે, તેઓ સળંગ 8 વર્ષ સુધી આ શોનો હિસ્સો રહ્યા હતા, લોકોને તેમનું પાત્ર ખૂબ ગમ્યું. પરંતુ 9 જુલાઈ, 2018 ના રોજ તેમનું હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. આ પછી, શોના નિર્માતાઓએ તે જગ્યા નિર્મલ સોનીને આપી હતી.
ટપ્પુ એટલે કે જેઠાલાલ અને દયાબેનના પુત્ર (ટપ્પુ) ની ભૂમિકા ભજવનાર ભવ્ય ગાંધી પણ શરૂઆતથી જ શો સાથે સંકળાયેલા હતો. તેણે સતત 8 વર્ષ લોકોને હસાવ્યા અને પછી અચાનક તેણે શોને અલવિદા કહી દીધો. પોતાના એક ઇન્ટરવ્યુમાં તેણે આ શો છોડવાનું કારણ જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, ‘એપિસોડમાં તેની બહુ ઓછી ભૂમિકા છે, તેથી મેં આ શો છોડી દેવાનું નક્કી કર્યું છે કારણ કે શોમાં મને વધુ સારું ભાવિ દેખાતું નથી.’
દરમિયાન શોમાં આત્મારામ ભીડેની પુત્રી સોનુની ભૂમિકામાં ઝીલ મહેતા નું અભિનય પણ દર્શકોને ખુબ ગમ્યું હતું. સોનુનું વ્યક્તિત્વ ખૂબ જ તેજસ્વી હતું, તે એક સ્માર્ટ વિદ્યાર્થીની હતી. તે 9 વર્ષથી આ શો સાથે સંકળાયેલી હતી. આ પછી, તેણે શોને અભ્યાસ માટે છોડી દીધો હતો. ઝીલ મહેતાના શો છોડી દીધા પછી નિધી ભાનુશાલીએ સોનુની ભૂમિકા ભજવી હતી અને તેણે તેની શાનદાર અભિનયથી લોકોનું દિલ જીતી લીધું હતું. જોકે, નિધિએ પણ તેના ઉચ્ચ શિક્ષણ માટે આ શો છોડી દીધો હતો અને હાલમાં તે સોનુનું પાત્ર પલક સિધવાણી ભજવી રહી છે.