News Continuous Bureau | Mumbai
Tina Ambani। ૮૦ ના દાયકામાં ટીના મુનીમ બોલિવૂડની સૌથી લોકપ્રિય, સફળ અને ગ્લેમરસ અભિનેત્રીઓમાં ગણાતી હતી. તેમની પાસે નામ, દામ, હિટ ફિલ્મો અને સ્ટારડમ બધું જ હતું. જોકે, પોતાના કરિયરના સર્વોચ્ચ શિખરે પહોંચીને તેમણે અચાનક જ રૂપેરી પડદાને અલવિદા કહી દીધું અને પ્રખ્યાત ઉદ્યોગપતિ અનિલ અંબાણી સાથે લગ્ન કરીને નવી જીંદગીની શરૂઆત કરી હતી. હવે વર્ષો પછી, તેમની સગી ભાણી અને જાણીતી લેખિકા લીના અશરે સોશિયલ મીડિયા પર ટીના અંબાણીની અંગત જીંદગી અને વ્યક્તિત્વ સાથે જોડાયેલા કેટલાક ન સાંભળેલા અને અત્યંત ભાવુક કિસ્સાઓ શેર કર્યા છે.
ઇન્સ્ટાગ્રામ પર ખુલાસો- ટીના મુનીમનું સાચું નામ ‘નિવૃત્તિ’ છે, જેનો અર્થ છે ‘ભીતરની શાંતિ’
લેખિકા લીના અશરે ઇન્સ્ટાગ્રામપર પોતાની ‘ટીના માસી’ સાથે વિતાવેલી સુંદર પળોનો એક વીડિયો શેર કરીને એક લાંબી પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં તેમણે ખુલાસો કર્યો છે કે દુનિયા જેને ટીના મુનીમ કે ટીના અંબાણી તરીકે ઓળખે છે, તેમનું સાચું અને જન્મનું નામ ‘નિવૃત્તિ’ (Nivritti) છે. નિવૃત્તિનો અર્થ થાય છે- ભીતરની યાત્રા, લાંબા સંઘર્ષ પછી મળનારી પરમ શાંતિ અને પોતાની જાત તરફ પાછા ફરવું. લીનાએ મજાકમાં લખ્યું કે, અમારા પરિવારમાં એવી મજાક થતી હતી કે નવ બાળકોના જન્મ પછી મારા નાના-નાની આખરે ‘નિવૃત્તિ’ ની અવસ્થામાં પહોંચી ગયા હતા, પરંતુ આ નામ માસીની જીંદગીની સાચી હકીકત બની ગયું.
‘લોકો જે જીંદગીનું સપનું જુએ છે તે તેમણે જીવી’, જૂની લાઈફ છોડવાનો ક્યારેય પસ્તાવો નથી
પોતાના બાળપણના દિવસોને યાદ કરતાં લીનાએ લખ્યું કે, જ્યારે માસી શૂટિંગ પર જતાં પહેલાં મેકઅપ કરતી, ત્યારે હું કલાકો સુધી બેસીને તેમની સુંદરતા અને સ્ટારડમને મંત્રમુગ્ધ થઈને જોયા કરતી હતી. તેમણે એ જીંદગી જીવી છે જેના માટે સામાન્ય લોકો માત્ર સપના જુએ છે- ફિલ્મો, ગ્લેમર, પૈસો અને પ્રસિદ્ધિ. ત્યારબાદ તેમણે દેશના સૌથી મોટા અંબાણી પરિવારની વહુ બનીને એક સંપૂર્ણ અલગ દુનિયામાં પગ મૂક્યો. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, આટલું મોટું સ્ટારડમ છોડ્યા પછી પણ તેમણે ક્યારેય પોતાની જૂની ફિલ્મી જીંદગીને છોડવાનો અફસોસ કે પસ્તાવો (Regret) કર્યો નથી, અને તેઓ હંમેશા અંબાણી પરિવારની મજબૂત કડી બનીને રહ્યાં છે.
૧૯૭૮ માં દેવ આનંદની ફિલ્મથી ડેબ્યૂ અને ૧૯૯૧ માં અનિલ અંબાણી સાથે લગ્ન સુધીની સફર
લીનાએ ભાવુક થતાં જણાવ્યું કે, જ્યારે તેની માતા (ટીના અંબાણીની બહેન) ને બ્રેન સ્ટ્રોક આવ્યો અને તેઓ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા, ત્યારે ટીના માસી દરરોજ દિવસમાં બે વાર હોસ્પિટલ આવતા, ભજન ગાતા અને બાળપણની યાદો તાજી કરતા હતા. માતાના અવસાન પછી તેમનો સંબંધ માસી સાથે વધુ ગાઢ બની ગયો. ટીના મુનીમના ફિલ્મી સફરની વાત કરીએ તો, તેમણે વર્ષ ૧૯૭૮ માં સુપરસ્ટાર દેવ આનંદ સાથે ફિલ્મ ‘દેસ પરદેશ’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ ‘કર્ઝ’, ‘રોકી’, ‘સૌતન’ અને ‘બાતોં બાતોં મેં’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી હતી. વર્ષ ૧૯૯૧ ની ફિલ્મ ‘જીગરવાલા’ તેમની છેલ્લી ફિલ્મ હતી, જેના પછી ૨ ફેબ્રુઆરી ૧૯૯૧ ના રોજ તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઈ અંબાણીના નાના પુત્ર અનિલ અંબાણી સાથે લગ્ન કરી લીધા હતા. આ કપલના બે પુત્રો છે – જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી.
👉 આ સમાચાર વાચો:
Don 3 Controversy Ranveer Singh| ફરહાન અખ્તર સાથેના અણબનાવની અફવાઓ વચ્ચે રણવીર સિંહે ફેંક્યો નવો દાવ; ફેન્સ પણ ચોંકી ગયા!