News Continuous Bureau | Mumbai
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી ખતરામાં છે. આ દરમિયાન સત્તા બચાવવા હવાતીયા મારી રહેલા વડાપ્રધાન ઈમરાન ખાને ગુરુવારે રાષ્ટ્રના નામે સંબોધન કરતા પોતાની ડામાડોળ સત્તા માટે અમેરિકા પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. તેમણે કહ્યું કે તેઓ ઝુકશે નહીં અને તેમની કોમને પણ ઝૂકવા નહીં દે. પાકિસ્તાનના ભાવિનો નિર્ણય આગામી 3 એપ્રિલ એટલે કે રવિવારે થશે. સંસદમાં મતદાન થશે અને સત્તા પર કોણ રહેશે તે નિશ્ચિત થશે, પરંતુ વિપક્ષ એમ માનતો હોય કે ઈમરાન ખાન રાજીનામું આપી દેશે તો તેઓ જાણી લે કે ઈમરાન છેલ્લા બોલ સુધી મેદાન પર અડગ રહેશે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, જનતાને કરેલા સંબોધનમાં ઈમરાન ખાને કહ્યું કે, પાકિસ્તાન મારા કરતાં પાંચ વર્ષ જ મોટું છે. આપણે અહીંની પહેલી જનરેશન છીએ. અમેરિકાના હિમાયતી બનવુંએ જનરલ મુશર્રફની સૌથી મોટી ભૂલ હતી. હું સ્વતંત્ર વિદેશ નીતિની તરફેણ કરું છું. ઇમરાન ખાને અમેરિકા પર એવો આરોપ મુકયો હતો કે પાકિસ્તાન અમેરિકા સાથે લડયું અને એને જ પાકિસ્તાન પર પ્રતિબંધ લગાવી દીધા. સાથે જ ઈમરાન ખાને દાવો કર્યો કે હતો કે, અમેરિકા તરફથી ધમકી ભર્યો પત્ર આવ્યો છે. એ પત્ર મારી વિરુદ્ધ હતો. તેમણે કહ્યું કે પત્રમાં અવિશ્વાસ પ્રસ્તાવની વાત કરવામાં આવી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે જો ઈમરાન ખાન વડાપ્રધાન રહેશે તો તમારા દેશ સાથે અમારા સંબંધો બગડી જશે. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો ઈમરાન ખાન ત્યાંથી જશે તો તેઓ પાકિસ્તાનને માફ કરી દેશે. તેણે કહ્યું કે મારી વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : નવા નાણાકીય વર્ષ સાથે નવા નિયમો, આજથી ક્રિપ્ટો ટેક્સ અમલમાં, હવે રોકાણકારોએ ભરવો પડશે આટલા ટકા ટેક્સ
હવે ઈમરાન ખાનના આ દાવા અંગે અમેરિકા દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. પાકિસ્તાનની અત્યારની રાજકીય સ્થિતિ પર અમેરિકાએ કોઈ લેટર પાકિસ્તાનમાં મોકલ્યો નથી. સાથે જ અમેરિકાએ ઇમરાન વિરુદ્ધના અવિશ્વાસ પ્રસ્તાવમાં અમેરિકાની કોઈ પણ પ્રકારની સંડોવણીના આરોપોને ફગાવી દીધા છે. અમેરિકન પ્રવક્તા તરફથી કહેવામાં આવ્યું છે કે આમાંના કોઈપણ આરોપોમાં કોઈ સત્ય નથી. અમે પાકિસ્તાનની બંધારણીય વ્યવસ્થા અને શાસનનું સન્માન કરીએ છીએ. અમે પાકિસ્તાનની રાજકીય પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.
બીજી તરફ રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, ઇમરાન ખાન સરકારે અમેરિકા સાથેના સંબંધો ખરાબ કરી નાખ્યા હતા. અમેરિકાએ આતંકવાદ સામે લડવા માટે મળતી મદદ નું ફંડ અટકાવી દીધું હતું, ઘર આંગણે આર્થિક મુશ્કેલીઓ વધતી જતી હતી. આથી ઇમરાન ખાન રશિયા તથા ચીન તરફ ઢળી રહ્યા હતા. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો એ જ સમયે પાક વડાપ્રધાને રશિયાની મુલાકાત લીધી હતી. ઇમરાન ખાનની આ હરકતથી અમેરિકા નારાજ થયું હતું. આ ઉપરાંત ચીન અને પાકિસ્તાન વચ્ચે વધતી જતી આર્થિક ભાગીદારી પણ અમેરિકાને ખૂંચતી હતી. અમેરિકા સાથેના સંબંધો બગડવાથી પાકિસ્તાનની સેના નારાજ હતી. ઇમરાનખાન ના ભાષણ પછી હવે એ વધુ સ્પષ્ટ થયું છે.
આ સમાચાર પણ વાંચો : આજથી આ આઠ મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે, આના પર નહીં મળે હવે સબસીડી… જાણો વિગતે