News Continuous Bureau | Mumbai
Father of All Deals: ભારત અને અમેરિકા વચ્ચે થયેલા નવા વેપાર કરારે વિશ્વભરના બજારોનું ધ્યાન ખેંચ્યું છે. આ સમજૂતી હેઠળ ભારત માટે સૌથી મોટી રાહત એ છે કે તેના સંવેદનશીલ કૃષિ અને ડેરી ઉત્પાદનોને આ ડીલમાંથી બહાર રાખવામાં આવ્યા છે, એટલે કે વિદેશી સ્પર્ધાથી ભારતીય ખેડૂતો સુરક્ષિત રહેશે. બીજી તરફ, ભારતના લગભગ 40 અબજ ડોલરથી વધુના ઉત્પાદનો હવે અમેરિકામાં કોઈ પણ ટેક્સ વગર પ્રવેશી શકશે.કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આ ડીલને દરેક ભારતીય માટે ગૌરવ સમાન ગણાવી છે. આ કરાર બાદ કાપડ , ચામડાની વસ્તુઓ, દરિયાઈ ઉત્પાદનો અને કેમિકલ્સ પર જે ટેક્સ પહેલા 25% કે તેથી વધુ હતો, તે હવે ઘટીને 18% થઈ જશે. આનાથી ભારતીય નિકાસકારોને વૈશ્વિક બજારમાં ચીન અને વિયેતનામ જેવા દેશો કરતા 1 થી 2 ટકાની સરસાઈ મળશે.
રશિયન ઓઇલ અને પેનલ્ટી ટેક્સમાંથી મુક્તિ
મીડિયા રિપોર્ટ મુજબ, રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે અમેરિકાએ ભારતીય સામાન પર જે 25% વધારાનો પેનલ્ટી ટેક્સ લાદ્યો હતો, તે હવે થોડા જ દિવસોમાં હટાવી લેવામાં આવશે. આ ઉપરાંત, અંદાજે 30 અબજ ડોલરના શ્રમ-આધારિત ભારતીય સામાન પરનો રેસીપ્રોકલ ટેક્સ પણ સંયુક્ત નિવેદન બાદ ઘટાડીને 18% કરવામાં આવશે. આ નિર્ણયથી ભારતીય ઉત્પાદનો અમેરિકી માર્કેટમાં વધુ સસ્તા અને સ્પર્ધાત્મક બનશે.
આ સમાચાર પણ વાંચો : Mumbai BMC Mayor Election 2026: મુંબઈને 11 ફેબ્રુઆરીએ મળશે નવા મેયર; ભાજપ કે શિંદે સેના? કોણ બેસશે BMCની ગાદી પર?
5 વર્ષમાં $500 અબજની ખરીદીની પ્રતિબદ્ધતા
આ ડીલ અંતર્ગત ભારત આગામી 5 વર્ષમાં અમેરિકા પાસેથી 500 અબજ ડોલરના સામાનની ખરીદી કરશે. આ ખરીદીમાં ભારતની જરૂરિયાત મુજબના હવાઈ જહાજો, કાચું તેલ, એલએનજી, અને હાઈ-ટેક સેમિકન્ડક્ટર સાધનોનો સમાવેશ થાય છે. અમેરિકી ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમીસન ગ્રીયરે જણાવ્યું હતું કે ભારત તેના ઔદ્યોગિક માલસામાન પરનો ટેક્સ 13.5% થી ઘટાડીને શૂન્ય કરવા સંમત થયું છે, જે અમેરિકી નિકાસકારો માટે મોટી તક છે.
કયા ક્ષેત્રોને થશે સૌથી વધુ ફાયદો?
આ સમજૂતીથી જેમ્સ એન્ડ જ્વેલરી, પ્લાસ્ટિક, રબર, હોમ ડેકોર અને ઓટો પાર્ટ્સ જેવા ક્ષેત્રોને જબરદસ્ત વેગ મળશે. ફાર્મા અને મોબાઈલ ફોન પહેલાથી જ ટેક્સ ફ્રી હતા, જે હવે વધુ મજબૂત બનશે. જોકે, સ્ટીલ અને એલ્યુમિનિયમ પરની સેફગાર્ડ ડ્યુટી હજુ ચાલુ રહેશે કારણ કે તે WTO ના દાયરામાં આવે છે. પીયૂષ ગોયલે ખાતરી આપી છે કે 140 કરોડ દેશવાસીઓના હિતોનું ધ્યાન રાખીને જ આ ઐતિહાસિક વેપાર કરાર કરવામાં આવ્યો છે.