News Continuous Bureau | Mumbai
Russia Petrol Export Ban મધ્ય-પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ દરમિયાન ભારત સહિત સમગ્ર વિશ્વ માટે રશિયા તરફથી અત્યંત આંચકાજનક સમાચાર આવ્યા છે. વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે રશિયાએ જાહેરાત કરી છે કે તે આગામી 31 જુલાઈ સુધી પેટ્રોલની નિકાસ બંધ રાખશે. રશિયાના આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચવાની અને સપ્લાય ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.
અમેરિકાએ હટાવ્યા હતા પ્રતિબંધો, પણ રશિયાએ ફેરવ્યું પાણી
ફેબ્રુઆરી 2026 માં ઈરાન પર ઈઝરાયેલ અને અમેરિકાના હુમલા બાદ શરૂ થયેલા યુદ્ધે વિશ્વને મુશ્કેલીમાં મુકી દીધું છે. હોર્મુઝની સામુદ્રધુની બંધ થવાને કારણે તેલનો પુરવઠો ખોરવાયો હતો. આ સંકટમાંથી બહાર નીકળવા માટે અમેરિકાએ રશિયાના તેલ પરના તમામ પ્રતિબંધો હટાવી દીધા હતા અને દુનિયાને રશિયા પાસેથી તેલ ખરીદવા આહવાન કર્યું હતું. જોકે, હવે રશિયાએ જ નિકાસ રોકવાનો નિર્ણય લેતા અમેરિકા સહિત તમામ પશ્ચિમી દેશોની ગણતરીઓ ઊંધી પડી ગઈ છે.
ભારત માટે કેમ ચિંતાજનક છે આ નિર્ણય?
ભારત તેની જરૂરિયાતનું મોટું પ્રમાણ રશિયા પાસેથી તેલ ખરીદીને પૂરું કરે છે. જ્યારે દુનિયાના અન્ય દેશોમાં તેલની અછત હતી, ત્યારે રશિયાએ ભારતની મદદ કરી હતી, જેના કારણે ભારતમાં પાકિસ્તાન જેવી સ્થિતિ સર્જાઈ નહોતી. પરંતુ હવે રશિયાએ પેટ્રોલ નિકાસ પર પ્રતિબંધ મૂકતા ભારત માટે તેલની આયાત મોંઘી થઈ શકે છે અને દેશમાં ઈંધણના ભાવ વધી શકે છે. ભારતની સતત વધી રહેલી ઉર્જાની માંગ સામે રશિયાનો આ નિર્ણય સૌથી મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Russia Plane Crash Crimea: રશિયાનું સૈન્ય વિમાન ક્રિમિયામાં તૂટી પડ્યું, ટેકનિકલ ખામીને કારણે 29 ના મોત.
યુક્રેનનો હુમલો અને રશિયાની આંતરિક સુરક્ષા
રશિયાના આ નિર્ણય પાછળ યુક્રેન સાથેનો સંઘર્ષ પણ મુખ્ય કારણ હોવાનું મનાય છે. તાજેતરમાં યુક્રેને રશિયાની મુખ્ય તેલ પાઈપલાઈન અને રિફાઈનરીઓ પર ભીષણ હુમલો કર્યો હતો, જેના કારણે રશિયાને મોટું આર્થિક અને માળખાગત નુકસાન થયું છે. પોતાની આંતરિક જરૂરિયાતોને પૂરી કરવા અને અનામત જથ્થો જાળવી રાખવા માટે રશિયાએ નિકાસ બંધ કરવાનો આકરો નિર્ણય લીધો છે. હવે ભારત સરકાર આ સંકટનો સામનો કરવા માટે વૈકલ્પિક રસ્તાઓ શોધી રહી છે.
