ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022,
મંગળવાર,
કોરોનાનું સંક્રમણ ઘટતા ઈઝરાયેલે જાહેરાત કરી હતી કે તે આવતા મહિનાથી રસી વિનાના પ્રવાસીઓને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપશે કારણ કે, કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટે જણાવ્યું હતું કે વિદેશી પ્રવાસીઓને પ્રસ્થાન અને આગમન પર કોરોના વાઈરસ ચેપ માટે પીસીઆર પરીક્ષણોની જરૂર પડશે, પછી ભલે તેઓને રસી આપવામાં આવી હોય કે ન હોય. આ નવો નિયમ ૧ માર્ચથી અમલમાં આવશે.
બેનેટે કહ્યું, ‘અમે કોરોના વાયરસના ચેપની સંખ્યામાં સતત ઘટાડો જોઈ રહ્યા છીએ, તેથી હવે ધીમે ધીમે પ્રતિબંધો હટાવવાનો સમય આવી ગયો છે.’ ઈઝરાયેલે છેલ્લા બે વર્ષથી વિદેશી પ્રવાસીઓના પ્રવેશને મોટાભાગે મર્યાદિત કરી દીધો હતો અને પ્રવાસીઓના આગમન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો. અત્યંત ચેપી ઓમિક્રોન વેરિઅન્ટ સામે આવ્યા પછી ઈઝરાયેલ વિશ્વના એવા દેશોમાં ટોચ પર હતું, જેણે સૌથી ઝડપી દરે રસીકરણ કર્યું છે. લોકોને જાહેર સ્થળોએ પ્રવેશવા માટે રસીકરણ પ્રમાણપત્ર બતાવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું.
બેક ટુ નોર્મલ: કોરોના મહામારીની અસર ઓસરી, આ રાજ્યની હાઈકોર્ટસહિત તમામ કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ
નવા નિયમો જે ૧ માર્ચથી અમલમાં આવશે, પ્રવાસીઓએ ઈઝરાયેલ માટે ઉડાન ભરતા પહેલા અને ઉતરાણ કરતા પહેલા બીજાે પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. ઈઝરાઈલી નાગરિકોએ દેશમાં પ્રવેશતા જ ટેસ્ટ કરવો પડશે. અહીં કોવિડ-૧૯ પ્રમાણપત્રને ગ્રીન પાસ કહેવામાં આવે છે. ઈઝરાયેલ એક એવો દેશ છે, જે શરૂઆતમાં કોરોના વાયરસને કાબૂમાં લેવામાં પણ સફળ રહ્યો હતો.
કોરોના વાયરસના કેસની વાત કરીએ તો અહીં ચેપના ૧૦,૦૦૦થી વધુ નવા કેસ નોંધાયા છે. અગાઉ જાન્યુઆરીના અંતમાં ૮૫,૦૦૦થી વધુ કેસ નોંધાયા હતા. એટલે કે ફેબ્રુઆરીમાં કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ઈઝરાયેલમાં કોરોના વાઈરસના કારણે અત્યાર સુધીમાં કુલ ૯,૮૪૧ લોકોના મોત થયા છે. આમાંથી સાત લોકોનું શનિવારે જ મોત થયું હતું. ભારતમાં કોરોના વાઈરસના કેસમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. આજે દેશમાં કોરોના સંક્રમણના ૧૬,૦૫૧ નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૦૬ દર્દીઓના મોત થયા છે. મૃત્યુના નવા આંકડા સાથે કોવિડ ચેપથી મૃત્યુઆંક હવે ૫,૧૨,૧૦૯ પર પહોંચી ગયો છે.