Jagdeep Dhankhar: રાઉતે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ને લઈને વ્યક્ત કરી આવી આશંકા, પૂછ્યા આવા સવાલ

રાઉતે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડ પર શંકા વ્યક્ત કરી

News Continuous Bureau | Mumbai

Jagdeep Dhankhar ઉપરાષ્ટ્રપતિના પદ પરથી રાજીનામું આપ્યા બાદ ‘નોટ રીચેબલ’ થઈ ગયા છે. આ મુદ્દે શિવસેના ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે પાર્ટીના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે તાજેતર માં એક અલગ જ આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ક્યાંક ભારતમાં પણ રશિયા અને ચીન જેવા રાજકીય હાલત તો નથી થઈ ગયા ને?

૨૧ જુલાઈથી ગાયબ છે ધનખડ?

સંજય રાઉતે જણાવ્યું કે, “દેશમાં હાલ કોઈ ઉપરાષ્ટ્રપતિ નથી, તેથી અમે હજુ પણ જગદીપ ધનખડને જ ઉપરાષ્ટ્રપતિ માનીએ છીએ. જગદીપ ધનખડ ૨૧ જુલાઈથી ગાયબ છે. જે વ્યક્તિ દેશ ના ઉપરાષ્ટ્રપતિ છે, રાજ્યસભાના સભાપતિ છે, તે ૨૧ જુલાઈની સવારે રાજ્યસભામાં અમારી સામે આવ્યા હતા. અમારી તેમની સાથે ચર્ચા થઈ હતી અને તેમણે કેટલાક આદેશો પણ આપ્યા હતા. બાદમાં સદન સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.”

રાજીનામા બાદ ક્યાં છે ધનખડ?

રાઉતે આગળ કહ્યું કે, “જગદીપ ધનખડનું સ્વાસ્થ્ય સારું હતું અને તેઓ સારા મૂડમાં હતા. સાંજે ૬ વાગ્યા પછી સમાચાર આવ્યા કે તેમણે સ્વાસ્થ્યના કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપી દીધું છે. આ અમારા માટે ખૂબ જ ચોંકાવનારું હતું.” તેમણે સવાલ ઉઠાવ્યો કે, “અમે આ વાતને માની લઈએ, પરંતુ રાજીનામા પછી આજ સુધી ધનખડ ક્યાં છે? મનમાં એવી આશંકાઓ ઉઠી રહી છે કે ધનખડની તબિયત કેવી છે? તેઓ શું કરી રહ્યા છે? તેઓ કોની સાથે છે, ક્યાં રહી રહ્યા છે? ક્યાંક તેમને ગાયબ તો નથી કરી દેવામાં આવ્યા ને?”

આ સમાચાર પણ વાંચો : India Pakistan: ભારત-પાક આવ્યું સામસામે! આજથી અરબ સાગરમાં નૌસેનાની મોટી તૈયારીઓ થઇ શરૂ, જાણો વિગતે

લોકશાહી માટે ચિંતાનો વિષય

સંજય રાઉતે કહ્યું કે, “દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ આ રીતે ગાયબ થઈ જાય અને કોઈને તેમના વિશે ખબર ન હોય, તો તે દેશના લોકતંત્ર માટે ચિંતાનો વિષય છે. કારણ કે રશિયા અને ચીનમાં પોતાના વિરોધી નેતાઓને આ રીતે ગાયબ કરવાની વ્યવસ્થા છે. શું આ જ પરંપરા ભારતમાં પણ શરૂ થઈ છે?” રાઉતે જણાવ્યું કે જ્યારે ઉદ્ધવ ઠાકરે દિલ્હી પ્રવાસે ગયા હતા, ત્યારે કપિલ સિબ્બલે તેમની મુલાકાત લીધી હતી અને તેમણે આ મુદ્દે ચર્ચા કરી હતી. તે સમયે અમે આ મામલે કોર્ટમાં અરજી દાખલ કરવા વિશે પણ ચર્ચા કરી હતી.