News Continuous Bureau | Mumbai
Ali Larijani Killed Israel Attack ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા મહાયુદ્ધમાં ૧૮ માર્ચનો દિવસ ઈરાન માટે કાળો દિવસ સાબિત થયો છે. ઈઝરાયેલના એક ચોકસાઈભર્યા હુમલામાં ઈરાનના સુરક્ષા પ્રમુખ અલી લારીજાની અને તેમના પુત્રનું મોત થયું છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ આ મોતના સમાચારની પુષ્ટિ કરી છે. આ ઘટના બાદ ઈરાને વળતો પ્રહાર કરતા ઈઝરાયેલની રાજધાની તેલ અવીવ પર ૧૦૦ થી વધુ મિસાઈલો છોડીને આતંક મચાવ્યો છે.લારીજાનીના નિધનથી ઈરાનની સૈન્ય અને વ્યૂહાત્મક નિર્ણય પ્રક્રિયા પર ઊંડી અસર પડવાની શક્યતા છે.
કોણ હતા અલી લારીજાની?
અલી લારીજાની ઈરાનના માત્ર નેતા જ નહીં, પરંતુ એક જાણીતા ફિલસૂફ અને રાષ્ટ્રીય સુરક્ષાના ચાણક્ય ગણાતા હતા. તેમનો જન્મ ૧૯૫૮માં ઈરાકના નજફમાં થયો હતો. ૨૦૦૯માં ‘ટાઈમ’ મેગેઝિને તેમના પરિવારને “ઈરાનના કેનેડી” તરીકે ઓળખાવ્યા હતા. તેમના ભાઈઓ પણ ઈરાનની ન્યાયતંત્ર અને ઉચ્ચ સમિતિઓમાં મહત્વના પદો પર રહ્યા છે. તેઓ ગણિત અને કોમ્પ્યુટર સાયન્સમાં સ્નાતક હતા અને તેહરાન યુનિવર્સિટીમાંથી પશ્ચિમી ફિલસૂફીમાં PhD કર્યું હતું. તેમનો વિષય જર્મન ફિલસૂફ ‘ઈમેન્યુઅલ કાંટ’ હતો. તેઓ સતત ૧૨ વર્ષ (૨૦૦૮-૨૦૨૦) સુધી ઈરાની સંસદના અધ્યક્ષ રહ્યા હતા. ૨૦૧૫ના પરમાણુ કરારમાં તેમની ભૂમિકા મહત્વની હતી.
ખામેનીના મોત બાદ બન્યા હતા આક્રમક
સામાન્ય રીતે ‘વ્યવહારુ’ નેતા ગણાતા લારીજાની ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનીની હત્યા બાદ અત્યંત આક્રમક બન્યા હતા. ખામેનીના મોત બાદ દેશનો વહીવટ ચલાવતી ત્રણ સભ્યોની સમિતિમાં તેઓ મુખ્ય હતા. તેમણે અમેરિકા અને ઈઝરાયેલને ગંભીર પરિણામો ભોગવવાની અને અમેરિકી સૈનિકોને મારી નાખવાની ખુલ્લી ધમકી આપી હતી.
આ સમાચાર પણ વાંચો : Saudi Oil Supply to India: ભારત માટે આ દેશ બન્યો ‘સંકટ સમયનો સાથી’: હોર્મુઝની ખાડીમાં યુદ્ધ છતાં ૬૦ લાખ બેરલ તેલનો જથ્થો મોકલ્યો, દેશમાં નહીં સર્જાય ઇંધણની અછત
IRGC નો વળતો પ્રહાર
લારીજાની અને બસીજ મિલિશિયાના કમાન્ડર ગુલામરેઝા સોલેમાનીની હત્યાનો બદલો લેવા માટે ઈરાને તેલ અવીવ પર મિસાઈલોનો વરસાદ કર્યો છે. ઈરાને દાવો કર્યો છે કે તેમની મિસાઈલોએ ઈઝરાયેલની અત્યાધુનિક ડિફેન્સ સિસ્ટમને પણ ભેદી નાખી છે. બીજી તરફ, ઈઝરાયેલે જણાવ્યું છે કે મિસાઈલના અવશેષો પડવાને કારણે એક મહિલાનું મોત થયું છે.
Join Our WhatsApp Community