News Continuous Bureau | Mumbai
Saudi Arabia Iran Conflict ઈરાન દ્વારા સાઉદી અરેબિયા પર કરવામાં આવેલા મિસાઈલ હુમલા બાદ ફેલાયેલી અફવાઓ પર ભારતીય દૂતાવાસે સ્પષ્ટતા કરી છે. શરૂઆતના અહેવાલોમાં એક ભારતીય નાગરિકના મોતના સમાચાર વહેતા થયા હતા, પરંતુ રિયાદ સ્થિત ભારતીય દૂતાવાસે સોમવારે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે આ હુમલામાં કોઈ પણ ભારતીયનું મૃત્યુ થયું નથી. દૂતાવાસે જણાવ્યું છે કે તેઓ સાઉદી સત્તાવાળાઓના સતત સંપર્કમાં છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.સાઉદી સિવિલ ડિફેન્સના અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે અલ-ખરજ શહેરમાં એક પ્રોજેક્ટાઈલ પડવાની ઘટનામાં એક ભારતીય અને એક બાંગ્લાદેશી નાગરિકના મોત થયા છે. જોકે, ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ શેર કરીને આ સમાચારને ખોટા ગણાવ્યા છે. દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં કોઈ ભારતીય જાનહાનિ થઈ નથી, જે એક મોટી રાહતના સમાચાર છે.
ઈજાગ્રસ્ત ભારતીયની મુલાકાત અને સારવાર
ભારતીય દૂતાવાસના કાઉન્સેલર વાય. સાબિરે રવિવારે રાત્રે અલ-ખરજની મુલાકાત લીધી હતી. તેમણે આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા ભારતીય નાગરિકની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. હાલમાં આ ઘાયલ ભારતીય નાગરિકની અલ-ખરજની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. દૂતાવાસ ઈજાગ્રસ્ત નાગરિકને તમામ જરૂરી મદદ પૂરી પાડી રહ્યું છે.
ભારતીય દૂતાવાસ દ્વારા સુરક્ષા એડવાઈઝરી જાહેર
મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને સાઉદી અરેબિયામાં વર્તમાન પરિસ્થિતિને જોતા, ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા તમામ ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરીમાં ભારતીયોને અત્યંત સતર્ક રહેવા અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા જારી કરવામાં આવેલી સુરક્ષા માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા વિનંતી કરવામાં આવી છે. નાગરિકોને બિનજરૂરી હિલચાલ ટાળવા અને કોઈપણ કટોકટીના સમયે દૂતાવાસનો સંપર્ક કરવા જણાવાયું છે.
આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન અને સાઉદીનો આક્રોશ
સાઉદી પ્રવક્તાએ આ હુમલાની નિંદા કરતા જણાવ્યું છે કે રહેણાંક વિસ્તારો અને નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવું એ આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાનું ખુલ્લું ઉલ્લંઘન છે. ઈરાનના આ હુમલાને કારણે સાઉદી અરેબિયામાં રોષ જોવા મળી રહ્યો છે. આ હુમલામાં જે રીતે પ્રોજેક્ટાઈલ રહેણાંક વિસ્તારોમાં પડ્યા તેનાથી સામાન્ય લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. સાઉદી સૈન્ય હવે આ મામલે વળતો જવાબ આપવા માટે સજ્જ હોવાનું મનાય છે.