ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022
શનિવાર
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પોતાની આદતથી મજબૂર છે. વૈશ્વિક મંચ પર અનેક વાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવીને પોતાની હરકતોથી પાછું વળી રહ્યું નથી. હવે ફરી એક વખત મિયાં ઇમરાને કાશ્મીરનો રાગ આલાપ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે સત્તા સંભાળ્યા બાદ ભારત સાથેના સંબંધોને સામાન્ય બનાવવું તેમની સરકારની પ્રાથમિકતા છે. ‘ચાઈના ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફુદાન યુનિવર્સિટી’ની સલાહકાર સમિતિના ડિરેક્ટર ડૉ. એરિક લીને આપેલા ઈન્ટરવ્યુમાં ખાને કહ્યું કે, કાશ્મીર મુદ્દો બંને દેશો વચ્ચે મોટો મુદ્દો છે. આ વાતચીત ૩ થી ૬ ફેબ્રુઆરી દરમિયાન તેમની ચીનની મુલાકાત દરમિયાન લીધેલ એક મુલાકાતનો ભાગ છે. સત્તાવાર ‘એસોસિએટેડ પ્રેસ ઑફ પાકિસ્તાન’ (એપીપી) એ ગુરુવારે આ માહિતી જાહેર કરી. ખાને ૬૦ બિલિયન ડોલરના ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર અને ગ્વાદર પોર્ટ અંગે પશ્ચિમી દેશોની શંકાઓને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ પ્રોજેક્ટ્સ પ્રાદેશિક વિકાસ માટે મોટી તક છે.
ભારતે પાકિસ્તાનને અનેક વખત કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે. ભારતે એમ પણ કહ્યું છે કે પડોશી દેશે વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ અને ભારત વિરોધી પ્રચાર બંધ કરવો જોઈએ. ભારતે પાકિસ્તાનને કહ્યું છે કે તે આતંકવાદ, દુશ્મનાવટ અને હિંસા મુક્ત વાતાવરણમાં ઈસ્લામાબાદ સાથે સામાન્ય પડોશી સંબંધો ઈચ્છે છે. ભારતે કહ્યું છે કે આતંકવાદ અને દુશ્મનાવટથી મુક્ત વાતાવરણ બનાવવાનું કામ પાકિસ્તાન પર છે.
ખાને કહ્યું, “CPEC અને ગ્વાદર પોર્ટ પર શંકા કરવાનો કોઈ અર્થ નથી. અમે અન્ય દેશોને પણ તેમાં જાેડાવા માટે આમંત્રિત કરીએ છીએ. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ્સ માત્ર પાકિસ્તાન અને ચીન માટે જ નહીં પરંતુ સમગ્ર વિસ્તાર માટે પણ ફાયદાકારક સાબિત થશે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ્સ ગરીબી દૂર કરવામાં અને સમૃદ્ધિ લાવવામાં મદદ કરશે.
નોંધપાત્ર રીતે ભારતે CPECને લઈને ચીનને વિરોધ કર્યો છે કારણ કે આ પ્રોજેક્ટ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના હિસ્સામાંથી પસાર થાય છે. ચીનના મુસ્લિમ બહુમતી ધરાવતા શિનજિયાંગ પ્રાંતમાં ઉઇગરોના નરસંહાર અંગે યુએસ અને યુરોપના આરોપો વિશે પૂછવામાં આવતા ખાને કહ્યું કે ચીનમાં પાકિસ્તાનના રાજદૂત તરફથી પ્રાંતની મુલાકાત દરમિયાન મળેલા અહેવાલો સંપૂર્ણપણે અલગ છે. ચીન સાથે પાકિસ્તાનના સંબંધો પર ખાને કહ્યું કે બંને દેશોની મિત્રતા સમયની કસોટી પર ખરી ઉતરી છે. તેમણે કહ્યું કે ચીન સાથેના સંબંધો ૭૦ વર્ષથી સતત રહ્યા છે, પછી ભલે કોઈ પણ સરકાર સત્તામાં હોય.