News Continuous Bureau | Mumbai
PM Modi’s Israel Visit વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૫ ફેબ્રુઆરીથી ઈઝરાયેલની મુલાકાતે જઈ રહ્યા છે, પરંતુ તેમના સ્વાગત પૂર્વે જ ઈઝરાયેલના આંતરિક રાજકારણમાં મોટો ગરમાવો જોવા મળ્યો છે. ઈઝરાયેલની સંસદ ‘નેસેટ’ (Knesset) ના સ્પીકર અમીર ઓહાનાએ વિપક્ષી સભ્યો દ્વારા પીએમ મોદીના સંબોધનના બહિષ્કારની ધમકીઓ પર આકરૂ વલણ અપનાવ્યું છે. સ્પીકરે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ સંજોગોમાં ભારતીય વડાપ્રધાનનું અપમાન થવા દેશે નહીં. ઈઝરાયેલમાં સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની અસર પીએમ મોદીની મુલાકાત પર પણ જોવા મળી રહી છે. વિપક્ષી નેતા યાયર લેપિડે ચેતવણી આપી હતી કે જો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ યિત્ઝાક અમિતને પ્રોટોકોલ મુજબ આમંત્રિત કરવામાં નહીં આવે, તો તેઓ સંસદીય સંબોધનનો બહિષ્કાર કરશે. આ પડકારના જવાબમાં સ્પીકર ઓહાનાએ કહ્યું કે, “ચિંતા કરશો નહીં, હું તમને ખાતરી આપું છું કે પીએમ મોદી અડધા ખાલી ગૃહમાં ભાષણ નહીં આપે.”
ખાલી સીટો પૂર્વ સાંસદોથી ભરવાનો પ્લાન
સ્પીકર ઓહાનાએ વિપક્ષી સાંસદોને જવાબ આપતા કહ્યું કે જો તેઓ સંસદમાં હાજર નહીં રહે, તો તે ખાલી બેઠકો પૂર્વ સાંસદો દ્વારા ભરી દેવામાં આવશે. ઈઝરાયેલ સરકાર ભારત સાથેના સંબંધો અને પીએમ મોદીના ગૌરવને લઈને અત્યંત ગંભીર છે. સ્પીકરે સ્પષ્ટ કર્યું કે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના વડાપ્રધાન જ્યારે સંબોધન કરતા હોય ત્યારે ગૃહ ભરેલું રહેવું જોઈએ, અને તેના માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Virosh Wedding: ઉદયપુરમાં ‘વિરોષ’ ના લગ્નનો ઝાકઝમાળ: રોયલ ડિનર સાથે વિધિઓનો પ્રારંભ; મેનૂમાં રાખવામાં આવી છે આ ખાસ વાનગીઓ
ચીફ જસ્ટિસ અને સરકાર વચ્ચેનો ટકરાવ
આ સમગ્ર વિવાદનું મૂળ જાન્યુઆરી ૨૦૨૫ માં ચીફ જસ્ટિસ તરીકે યિત્ઝાક અમિતની થયેલી નિમણૂક છે. ન્યાય મંત્રી યારિવ લેવિને તેમને ચીફ જસ્ટિસ તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. આથી જ પીએમ મોદીના સન્માનમાં યોજાનારા વિશેષ સત્રમાં ચીફ જસ્ટિસને આમંત્રિત કરવામાં આવ્યા નથી. વિપક્ષ આ બાબતને લોકશાહી અને ન્યાયતંત્રનું અપમાન ગણાવી રહ્યો છે, જ્યારે સરકાર પોતાના વલણ પર અડગ છે.
ભારત અને ઈઝરાયેલના સંબંધો પર અસર?
વિપક્ષી નેતા યાયર લેપિડે સ્વીકાર્યું છે કે ભારત એક અબજ લોકોનો દેશ છે અને પીએમ મોદીનું અપમાન થવું એ ઈઝરાયેલ માટે ભારે શરમજનક બાબત ગણાશે. જોકે, તેમનું કહેવું છે કે સરકાર જાણીજોઈને વિપક્ષને આવી સ્થિતિમાં ધકેલી રહી છે. પીએમ મોદી ૨૫ ફેબ્રુઆરીએ ઈઝરાયેલ પહોંચશે અને બે દિવસીય મુલાકાત દરમિયાન પીએમ નેતન્યાહુ અને રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગ સાથે મુલાકાત કરશે. આ વિવાદ છતાં, આ પ્રવાસ ભારત-ઈઝરાયેલના વ્યૂહાત્મક સંબંધો (Strategic Ties) માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે.
