News Continuous Bureau | Mumbai
ભારતનો પાડોશી દેશ શ્રીલંકા(Sri lanka) જે એક સમયે સોનાની લંકા કહેવાતો હતો હાલ આર્થિક સંકટ(economic crisis) સામે ઝઝૂમી રહ્યો છે. બે વર્ષ પહેલા સ્થિતિ એવી હતી કે દક્ષિણ એશિયા(south asia)ની સૌથી મજબૂત અર્થવ્યવસ્થામાં તેની ગણતરી થતી હતી. કોરોનાના પગલાં પડ્યા તે પહેલા ૨૦૧૯માં વિશ્વ બેંકે શ્રીલંકાને દુનિયાના હાઈ મિડલ ઈન્કમવાળા દેશોની કેટેગરીમાં મૂક્યું હતું. પરંતુ માત્ર ૨ વર્ષમાં શ્રીલંકા ઊંધે માથે પટકાયું અને હાલ સ્થિતિ એવી છે કે વિદેશી દેવું(Foreign debt) ચૂકવી શકવામાં અસમર્થ થઈ ગયું છે. દેવાળું પણ ફૂંક્યું છે. સરકારી આંકડા મુજબ મોંઘવારી દર ૧૭ ટકા પાર ગયો છે જે સમગ્ર દક્ષિણ એશિયાના કોઈ પણ દેશ કરતા સૌથી ભયાનક સ્તરે છે.
શ્રીલંકાના ચલણ રૂપિયાની વેલ્યૂ ડોલર સામે સતત ગગડી રહી છે. માર્ચમાં એક ડોલરની કિંમત ૨૦૧ શ્રીલંકન રૂપિયા હતી જ્યારે હવે ૩૬૦ થઈ ગઈ છે. એપ્રિલ ૨૦૨૧માં કુલ ૩૫ અબજ ડોલરનું વિદેશી દેવું હતું જે એક જ વર્ષમાં વધીને ૫૧ અબજ ડોલર પર પહોંચી ગયું છે. સ્થિતિ એવી કપરી થઈ ગઈ છે કે સેન્ટ્રલ બેંક ઓફ શ્રીલંકાએ પોતાનું અડધું રિઝર્વ ગોલ્ડ(Reserve Gold) વેચવું પડ્યું. સેન્ટ્રલ બેંક(Central bank) પાસે ૨૦૨૧ની શરૂઆતમાં ૬.૬૯ ટન સોનાનો ભંડાર હતો જેમાંથી ૩.૬ ટન સોનું વેચી કાઢ્યું. વિદેશી મુદ્રા ભંડારની વાત કરીએ તો ૨૦૧૮માં ૭.૫ અબજ ડોલર હતો જે ફેબ્રુઆરી ૨૦૨૨માં ૨.૩૧ અબજ ડોલર થઈ ગયો. શ્રીલંકાની આ સ્થિતિ માટે કેટલાક જવાબદાર પરિબળો પર નજર ફેરવો.
આ સમાચાર પણ વાંચો : રશિયાની ધમકીને આ પાડોશી દેશે અવગણી, નાટોમાં જોડાવા માટે કરી જાહેરાત… જાણો વિગતે..
સરકારે માર્ચ ૨૦૨૦માં વિદેશી આયાત પર પ્રતિબંધ લગાવ્યો જેથી કરીને વિદેશી મુદ્રા(Forex) બચાવી શકાય પરંતુ તેની કોઈ ખાસ અસર ન થઈ ઉપરથી પ્રતિબંધના કારણે દેશમાં જરૂરી સામાનની અછત સર્જાઈ. રાસાયણિક ખાતરની કમી થઈ ત્યારબાદ સરકારે સમગ્ર દેશમાં જૈવિક ખેતી ફરજિયાત કરી. જેણે સ્થિતિ વિકટ કરી. સરકારના આ નિર્ણયના પગલે શ્રીલંકાનું કૃષિ ઉત્પાદન અડધું થઈ ગયું. વિદેશી આયાત(Foreign import) પર પ્રતિબંધ અને જૈવિક ખેતીના કારમે શ્રીલંકામાં સામાનની અછત થઈ અને ભાવો એટલા કાબૂ બહાર ગયા કે આર્થિક કટોકટીએ પહોંચી ગયું.
શ્રીલંકાની ઈકોનોમીમાં મોટો ફાળો ટુરિઝમનો છે. તેની જીડીપીમાં ટુરિઝમનું ૧૦ ટકા કરતા વધુ યોગદાન છે. શ્રીલંકા માટે વિદેશી કરન્સીનો ત્રીજો સૌથી મોટો સ્ત્રોત છે. ટુરિઝમ ક્ષેત્ર પર સીધી રીતે ૫ લાખ અને આડકતરી રીતે ૨૦ લાખ જેટલા નાગરિકો નભે છે. વાર્ષિક ૫ અબજ ડોલરની આ ક્ષેત્રેથી કમાણી આવતી હતી. ટુરિઝમ ક્ષેત્ર પર કોરોનાની મારના કારણે શ્રીલંકાનો વિદેશી મુદ્રા ભંડાર તળિયે પહોંચી ગયો.
સેન્ટ્રલ બેંક ઓફ શ્રીલંકાના જણાવ્યા મુજબ હાલ શ્રીલંકા પર કુલ ૫૧ અબજ ડોલરનું વિદેશી દેવું છે. વિશ્વ બેંક મુજબ શ્રીલંકા પર વિદેશી દેવાની રકમ કુલ જીડીપીના ૧૦૩ ટકા થઈ છે. આગામી ૧૨ મહિનામાં વિદેશી દેવાના હપ્તા ભરવા માટે ૭.૩ અબજ ડોલરની જરૂર છે. આગામી ચાર વર્ષ એટલે કે ૨૦૨૬ સુધીમાં ૨૬ અબજ ડોલરની ચૂકવણી વિદેશી દેવાના હપ્તા પેટે કરવાની છે. એક સમયે સોનાની લંકા ગણાતું શ્રીલંકા હાલ પાતાળે પહોંચી ગયું છે.
ગંભીર આર્થિક સંકટમાં ધકેલાયેલા શ્રીલંકાને મુશ્કેલીઓના મધદરિયે મૂકીને રાજપક્ષે પરિવાર ભારત ભાગી ગયો હોવાની ચર્ચાઓ પ્રબળ બની છે. આ બધા વચ્ચે શ્રીલંકામાં ભારતીય ઉચ્ચાયોગે આ ખબરોને ખોટી અને પાયાવિહોણી ગણાવી છે. એક નિવેદન બહાર પાડીને કહ્યું કે રાજપક્ષે પરિવાર ભારત ભાગી ગયો હોવાની ખબરો સંપૂર્ણ રીતે ખોટી છે. તેમાં કોઈ સચ્ચાઈ નથી. ઉચ્ચાયોગ આ પ્રકારની ભ્રામક ખબરોને ફગાવે છે.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર : રાજીવ કુમાર બન્યા નવા ચૂંટણી કમિશનર, આ તારીખથી સંભાળશે કાર્યભાર : સુશીલ ચંદ્રાનું લેશે સ્થાન..
અત્રે જણાવવાનું કે શ્રીલંકાના તત્કાલિન પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ સોમવારે દેશના રાષ્ટ્રપતિ અને નાના ભાઈ ગોટાબાયા રાજપક્ષેને રાજીનામું સોંપી દીધુ હતું. ત્યારબાદ તેમના સમર્થકોએ સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ પર હુમલો કર્યો જેના પગલે દેશમાં હિંસા ભડકી અને ૮ લોકોના જીવ ગયા. દેશવ્યાપી હિંસામાં કોલંબો સહિત અન્ય શહેરોમાં ૨૦૦થી વધુ લોકો ઘાયલ પણ થયા. સરકાર વિરોધી પ્રદર્શનકારીઓએ દેશભરમાં રાજપક્ષે પરિવાર અને અન્ય નેતાઓની સંપત્તિને બાળવાનું શરૂ કર્યું છે. વધતી હિંસાને જાેતા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ ઉપદ્રવીઓને જાેતા જ ગોળી મારવાના આદેશ આપી દીધા છે. આ સાથે જ કોલંબો સહિત મોટા દેશોમાં સેના તૈનાત કરીને રાષ્ટ્રવ્યાપી કરફ્યૂ લાગૂ કર્યો છે. આમ છતાં સ્થિતિ સુધરી રહી નથી.