News Continuous Bureau | Mumbai
આર્થિક સંકટનો મોટો સામનો કરી રહેલા શ્રીલંકામાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે આર્થિક સંકટનો સામનો કરવામાં નિષ્ફળ જવા બદલ રાજીનામું આપવાના દબાણ હેઠળ છે. વિપક્ષી પાર્ટીઓ તેમજ સ્થાનિક લોકો રાજીનામાને લઈને રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા છે, પરંતુ રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાજીનામું આપવાના નથી. બીજી તરફ પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ મદદ માટે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો છે.
શ્રીલંકાની સરકારે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે કોઈપણ સંજોગોમાં રાજીનામું આપશે નહીં અને તેઓ વર્તમાન સમસ્યાઓનો સામનો કરશે. સરકારે કટોકટી લાદવાના રાજપક્ષેના ર્નિણયનો પણ બચાવ કર્યો હતો, જેને પાછળથી પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. રાજપક્ષેએ દેશની બગડતી આર્થિક કટોકટી અને તેમના રાજીનામાની માંગને લઈને વ્યાપક વિરોધને કારણે ૧ એપ્રિલના રોજ કટોકટીની સ્થિતિ લાદી હતી.
બીજી તરફ પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ કહ્યું કે અમારા દેશના પાડોશી અને મોટા ભાઈ તરીકે ભારતે હંમેશા અમારી મદદ કરી છે. અમે ભારત સરકાર અને પીએમ મોદીના આભારી છીએ. અમારા માટે વર્તમાન પરિસ્થિતિને કારણે ટકી રહેવું સરળ નથી. અમે ભારત અને અન્ય દેશોની મદદથી આ સંકટમાંથી બહાર આવવાની આશા રાખીએ છીએ.
શ્રીલંકાની સેન્ટ્રલ બેંકે બુધવારે ૧૧૯.૦૮ અબજ રૂપિયા છાપ્યા છે. આ વર્ષમાં અત્યાર સુધીમાં ૪૩૨.૭૬ અબજ રૂપિયા પ્રિન્ટ થયા છે. શ્રીલંકા આના દ્વારા પોતાને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માગે છે. અમેરિકાએ શ્રીલંકામાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. દેશમાં ઈંધણ અને દવાઓની અછત તરફ ઈશારો કરતા અમેરિકાની ટ્રાવેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં આતંકવાદી ખતરો પણ છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ‘કોવિડ અને ઈંધણ અને દવાઓની અછતને કારણે શ્રીલંકાની યાત્રા કરતા પહેલા ફરી વિચાર કરો. શ્રીલંકામાં પણ આતંકનો ખતરો છે.