News Continuous Bureau | Mumbai
Hormuz Strait Update: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે ઈરાને દુનિયાના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટપર એક નવો દાવ ખેલ્યો છે. ઈરાને ઓમાન સાથે મળીને આ જળમાર્ગની સંયુક્ત દેખરેખ અને મોનિટરિંગ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ઈરાનનો દાવો છે કે આ યોજનાનો ઉદ્દેશ્ય જહાજોને સુરક્ષા પૂરી પાડવી અને બહેતર સુવિધાઓ આપવાનો છે. જોકે, આંતરરાષ્ટ્રીય સમુદાય આ પ્રસ્તાવને શંકાની નજરે જોઈ રહ્યો છે, કારણ કે આ માર્ગ પર જહાજો પર હુમલા અને ઉઘાડી લૂંટના આરોપો ઈરાન પર લાગતા રહ્યા છે.
જહાજોની અવરજવર અને સુરક્ષા માટે સંયુક્ત પ્રોટોકોલ
ઈરાની રાજદ્વારી કાઝેમ ગરીબાબાદીએ જણાવ્યું હતું કે, તેમનો દેશ ઓમાન સાથે મળીને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોના આવાગમનને સરળ બનાવવા માટે એક વ્યાપક પ્રસ્તાવ તૈયાર કરી રહ્યો છે. ઈરાની સમાચાર એજન્સી મુજબ, આ યોજના હેઠળ જહાજોને વિશિષ્ટ સેવાઓ આપવામાં આવશે. હોર્મુઝ સ્ટ્રેટ ભૌગોલિક રીતે ઈરાન અને ઓમાનની સરહદોની અંદર આવે છે, પરંતુ તે એક આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે જ્યાંથી દુનિયાનો મોટો તેલ વેપાર થાય છે.
આ સમાચાર પણ વાંચો : Donald Trump 100 Percent Tariff: ડોનાલ્ડ ટ્રમ્પનો ‘દવા બોમ્બ’! વિદેશી દવાઓ પર સીધો ૧૦૦% ટેરિફ, વિશ્વભરની ફાર્મા કંપનીઓમાં મચ્યો ફફડાટ
શાંતિ સમયના નિયમો યુદ્ધમાં લાગુ ન થઈ શકે: ઈરાન
ગરીબાબાદીએ પોતાના નિવેદનમાં એક મહત્વની વાત કહી છે કે, અત્યારે ક્ષેત્રમાં યુદ્ધ જેવી સ્થિતિ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, “અમે અત્યારે યુદ્ધની સ્થિતિમાં છીએ, તેથી એવી અપેક્ષા રાખી શકાય નહીં કે શાંતિના સમયના નિયમો યુદ્ધની સ્થિતિમાં પણ તેટલા જ કડક રીતે લાગુ થશે.” આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ઈરાન આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર પોતાના નિયમો લાદવા માંગે છે. અગાઉ ઈરાન પર આ માર્ગ પરથી પસાર થતા જહાજો પાસેથી ૨૦ લાખ ડોલર સુધીના તોતિંગ ‘ટોલ’ની માંગણી કરવાના આરોપો પણ લાગ્યા છે.
ઓમાનનું મૌન અને આંતરરાષ્ટ્રીય ચિંતા
ઈરાનના આ મોટા દાવા પર ઓમાન સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી કે તેની પુષ્ટિ કરી નથી. આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ, હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોને કોઈપણ અવરોધ વગર પસાર થવાની આઝાદી મળવી જોઈએ. અમેરિકા અને ઈઝરાયેલે ઈરાનના આ પગલાં સામે પહેલેથી જ ચેતવણી આપી છે. ભારત સહિત ૬૦થી વધુ દેશોએ પણ તાજેતરમાં હોર્મુઝ સ્ટ્રેટને મુક્ત વેપાર માટે ખુલ્લો રાખવાની માંગ કરી છે, કારણ કે આ માર્ગ બંધ થવાથી વૈશ્વિક ઉર્જા સંકટ વધુ ઘેરું બની શકે છે.